શહેરના ઈચ્છાપોરમાં એક વ્યક્તિ પગ સ્લીપ થઈ જતાં 15થી 20 ફૂટ ઉંડી પાણીની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતાં તેનું મોત નિપજ્યું હતું. ફાયર વિભાદે મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે. આ વ્યક્તિનું મોત નિપજતાં બે દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
20 ફૂટ ઊંડી પાણીની ટાંકીમાં કિરીટભાઈ ડૂબી ગયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ગોપીપુરામાં રહેતા 47 વર્ષીય કિરીટ જરીવાલા ઇચ્છાપોર ખાતે આવેલા ડાયમંડ બુર્સમાં છેલ્લા ત્રણ વર્ષથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાચવવાની સાથે હેલ્પર તરીકે નોકરી કરતા હતા. આજે સવારે નોકરી પર ગયા બાદ ડાયમંડ બુર્સના અંડર ગ્રાઉન્ડ પર કામ કરતા સમયે કિરીટ જરીવાલા પાઈપ ઉપાડવા ગયા હતા. દરમિયાન તેમનો પગ સ્લીપ થઈ જતા તેઓ ટાંકીની અંદર પડી ગયા હતા.
ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા
15થી 20 ફૂટ ઊંડી પાણીની ટાંકીમાં કિરીટભાઈ ડૂબી ગયા હતા. તેમની બૂમો સાંભળી સાથી કર્મચારીઓ મદદ માટે દોડી ગયા હતા. ત્યારબાદ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ફાયર વિભાગે કિરીટભાઈને બહાર કાઢી 108માં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.