પાન મસાલાની જાહેરાત કરનારા ક્રિકેટરો પર ભડક્યો ગૌતમ ગંભીર.

ભારતીય ટીમના બે પૂર્વ અનુભવી બેટ્સમેન સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગ પાન મસાલાની જાહેરાત કરે છે. IPL દરમિયાન તેની જાહેરાતો ખુબ વાયરલ થઈ હતી. આ સિવાય વર્ષ 1983માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવ પણ પાન મસાલાની જાહેરાતમાં જોવા મળે છે. હવે ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે તેના પર નિશાન સાધ્યું છે. ગંભીર સેહવાગ સાથે મળીને ભારતીય ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરતો હતો.

ગંભીરે સંભળાવી ખરી ખોટી

ગૌતમ ગંભીરે ક્રિકેટરોનું નામ લીધા વિના પાન મસાલાની જાહેરાતને શરમજનક ગણાવી હતી. ગંભીરને એક ઇન્ટરવ્યુમાં, જ્યારે ક્રિકેટરોને પાન મસાલાની જાહેરાત કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે ગંભીરે કહ્યું, ” હું ફક્ત બે શબ્દો કહેવા માંગુ છું, ઘૃણાસ્પદ અને નિરાશાજનક.”  મેં મારા જીવનમાં ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ ખેલાડી પાન મસાલાની જાહેરાત કરશે. હું વારંવાર એક જ વાત કહું છું અને કહેતો રહીશ કે તમારા રોલ મોડલને સમજદારીથી પસંદ કરો. નામ મહત્ત્વનું નથી, કામ મહત્ત્વનું છે.

નામથી નહી કર્મોથી ઓળખાઓ છો

ગંભીરે આગળ કહ્યું- તમે જે પણ છો, તમે તમારા નામથી ઓળખાતા નથી. તમે તમારા કાર્યોથી ઓળખાઓ છો. કરોડો યુવાનો જોતા હશે. પૈસા હોવું એટલું મહત્વનું નથી કે તમે કોઈપણ પાન મસાલાની જાહેરાત કરશો. પૈસા કમાવવાના બીજા ઘણા રસ્તા છે. થોડા પૈસા છોડો કારણ કે તમે ઘણા યુવાનો માટે રોલ મોડેલ છો, તેથી તમારામાં ત્યાગ કરવાની હિંમત હોવી જોઈએ. કોઈ પણ પોતાને તે શૈલીમાં લઈ જવા માંગતું નથી.