સ્વ.ગાયકના પરિવારે મંજૂરી ન આપી. અનેક સંગીતકારોની દરખાસ્ત ફગાવી, અવાજની નકલ કરી શકાય, ઈમોશનની નહિ.
હાલ હયાત ન હોય તેવા ગાયકોના પણ અવાજ એઆઈથી રીજનરેટ કરી તેમના અવાજમાં નવાં ગીત ગવડાવવાનો ટ્રેન્ડ શરુ થયો છે. જોકે, સ્વ. ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમના પરિવારે આ રીતે એઆઈથી તેમના પિતાનો અવાજ વાપરવા દેવાનો ઈનકાર કરી દીધો છે. સ્વ. ગાયકના પુત્ર એસ. પી. ચરણે કહ્યું હતું કે તેમને અનેક સંગીતકારોની આ માટે દરખાસ્ત મળી છે. પરંતુ, તેઓ તેની તરફેણમાં નથી. દરેક ગાયકને પોતે કયું ગીત ગાવું છે તેનો અધિકાર હોય છે. દિવંગત પિતાના બદલામાં આવો અધિકાર કોઈને આપી શકાય નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે એઆઈની મદદથી ગાયકનો અવાજ રિક્રિએટ કરી શકાય પરંતુ તેમનાં ઈમોશન્સ લાવી શકાય નહિ. જે પણ સંગીતકાર આવી દરખાસ્ત લઈને આવે છે તેમની સાથે કામ કરવા માટે અને તે ગીત ગાવા માટે મારા પિતા સંમત હોત કે નહિ તે કોઈ જાણી શકે તેમ નથી. ગમે તે સંગીતકાર તેમનો અવાજ વાપરે તે અમે ચલાવી નહિ લઈએ.