વાયરલ એટેકને કારણે રેર સેન્સરી ન્યૂરલ નર્વ હિઅરિંગ લોસનું નિદાન ચાહકોને લાઉડ મ્યુઝિક અને હેડફોનથી દૂર રહેવા અલકાની અપીલઃ સોનુ નિગમ, ઈલા અરુણ, રહેમાન, આલિશા સહિતના સંગીત સિતારાઓએ હિંમત બંધાવી.

બોલીવૂડમાં વિતેલા દાયકાઓમાં અનેકાનેક સુપરડુપર હિટ ગીતો ગાઈને કરોડો ચાહકોને દાયકાથી પોતાના સૂરીલા કંઠથી ડોલાવતી  ટોચની સિંગર અલકા યાજ્ઞિાકે અચનાક જ પોતાની શ્રવણશક્તિ ગુમાવી દીધી છે.  અલકાને એક રેર સેન્સરી ન્યૂરલ નર્વ હિઅરિંગ લોસનું નિદાન થયું છે. 

આ હિઅરિંગ લોસ વાયરલ એટેકને કારણે થયો હોવાનું અલકાએ ખુદ આઘાતજનક સમાચાર  સોશિયલ મીડિયા પર શેર કરતાં જણાવ્યું હતું. અલકાની આ પોસ્ટ ભારે વાયરલ થઈ હતી અને સોનુ નિગમ, ઈલા અરુણ, એ.આર. રહેમાન, આલિશા ચિનોય, શંકર મહાદેવન સહિત સંગીત જગતની તથા બોલીવૂડની જાણીતી હસ્તીઓએ તેને ઝડપભેર સ્વસ્થ થવા શુભેચ્છા પાઠવી હતી. અલકાની આ પોસ્ટ બાદ તેના લાખો ચાહકો ભારે આઘાતમાં ગરકાવ થઈ રહ્યા છે અને આ સૂરીલી ગાયિકા ફરી પોતાની શ્રવણશક્તિ પાછી મેળવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. અલકાએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં તે ફલાઈટમાંથી ઉતરી રહી હતી ત્યારે જ અચાનક તેને ખ્યાલ આવ્યો હતો કે પોતે કશું સાંભળી શક્તિ નથી. તેણે તબીબને કન્સલ્ટ કરતાં જાણ થઈ હતી કે એક વાયરલ એટેકને કારણે તેને રેર સેન્સરી ન્યૂરલ  નર્વ હિઅરિંગ લોસની તકલીફ થઈ છે. 

અલકાએ કહ્યું હતું કે તેને  અચાનક જ આવી પડેલી આ તકલીફથી  ભારે આઘાત લાગ્યો છે અને પોતે કેટલાંય સપ્તાહો પછી આખરે પોતાની ચુપકિદી તોડી દુનિયાભરનેર આ વાત વિશે જાણ કરી રહી છે. તેણે લોકોને લાઉડ મ્યુઝિક અને હેડફોનથી દૂર રહેવા અપીલ કરી છે અને સાથે સાથે પોતાના માટે પ્રાર્થના કરવા પણ જણાવ્યું છે.  અલકાએ પોતાની  પ્રોફેશનલ કેરિયરના કારણે તબિયત પર થયેલી માઠી અસરોની વિગતે વાત કરશે તેમ પણ જણાવ્યું છે. 

અલકાની પોસ્ટ પર કોમેન્ટસ કરતાં સંખ્યાબંધ ચાહકોએ આશા વ્યક્ત કરી હતી કે તે બહુ ઝડપથી અગાઉ જેવી જ શ્રવણશક્તિ પાછી મેળવી લેશે તેવો તેમને વિશ્વાસ છે. 

હિઅરિંગ લોસનાં અનેક કારણો તત્કાળ સારવાર બહુ જરુરી.બ્લૂટૂથ,  આઈપોડ, લાઉડસ્પીકર લાંબા સમય સુધી સાંભળવાથી પણ બહેરાશ આવી શકે

અલકા યાજ્ઞિાક જેવી ગાયિકાએ અચાનક જ શ્રવણશક્તિ ગુમાવી દીધી તે માટે એક વાયરલ એટેક જવાબદાર હોવાનું કહેવાય છે. આ બાબતે દિલ્હીના એક ટોચના ઈએનટી નિષ્ણાત ડો. સુરેશ સિંહ નારુકાએ જણાવ્યુ ંહતું કે આવા કેસોમાં જેટલી ઝડપથી સારવાર શરુ થાય તેટલી શ્રવણશક્તિ પાછી આવવાની સંભાવના વધી જાય છે. તેમણે જણાવ્યું હતું કે શરીરના બીજાં અંગોની જેમ જ કાન પણ અચાનક કામ કરતા બંધ થઈ જાય અને આપણે શ્રવણશક્તિ ગુમાવી દઈએ તેવુ ંબની શકે છે. કાન અચાનક જ કામ કરતા બંધ થઈ જાય તેને સડન સેન્સરી ન્યૂરલ હિઅરિંગ લોસ કહે છે. વાયરસ પણ આમ થવા પાછળનું એક કારણ હોઈ શકે છે. આ ઉપરાંત લોહીનો પ્રવાહ ઓછો પહોંચવો કે પછી કયારે કોઈ કારણ વગર પણ શ્રવણશક્તિ જતી રહે છે. આ માટે ટયુમર સહિતાનાં કારણો જવાબદાર હોઈ શકે છે. આવી તકલીફ એક જ કાનમાં કે બંને કાનમાં પણ થઈ શકે છે. જોકે, અલકાને આવી તકલીફ થવાનું કારણ  સાઉન્ડનું ઓવર એક્સપોઝર હોઈ શકે કેમ કેમ તે અંગે આ તબીબે જણાવ્યું હતું કે ચોક્કસ વ્યવસાયના કારણે જ કાનને નુકસાન થાય તેવું હોતું નથી. જોકે, અગમચેતી રુપે લોકોએ ઘોંઘાટનાં પ્રદૂષણ તથા અચાનક કોઈ આઘાતથી બચવું જોઈએ.  તેમણે કહ્યું હતું કે બ્લૂટૂથ, આઈપોડ, લાઉડસ્પીકર વગેરે લાંબા સમય સુધી સાંભળવામાં આવે તો પણ બહેરાશ આવી શકે છે. 

અચાનક શ્રવણશક્તિ જતી રહેવાના સંજોોગમાં સામાન્ય રીતે  કાન પર સ્ટેરોઈડના ઈન્જેકશન અપાય છે.