થોડાક સમય પહેલાં એવી અફવા ફેલાવાઈ હતી કે શ્રીલંકામાં ભારતીય રૂપિયાને લીગલ ટેન્ડર એટલે કે ચૂકવણીના સત્તાવાર માધ્યમથી તરીકે ઉપયોગમાં લઈ શકાશે. પણ બુધવારે શ્રીલંકાની કેન્દ્રીય બેન્ક સેન્ટ્રલ બેન્ક ઓફ શ્રીલંકા (CBSL) એ એક સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને આ તમામ અફવાઓને ફગાવી દીધી છે. 

CBSLએ બહાર પાડી નોટિસ 

બેન્કે શ્રીલંકાના નાગરિકોને કહ્યું છે કે ડોમેસ્ટિક લેવલ પર લેવડ-દેવડ માટે તે ભારતીય રૂપિયાનો ઉપયોગ નહીં કરી શકે. સીબીએસએલએ એક નોટિસમાં જણાવ્યું હતું કે CBSL ભારતીય રુપિયાને લઈને ચાલી રહેલી અફવાઓને લઈને સ્પષ્ટતા કરવા માગે છે. અમે ભારતીય રુપિયાને સત્તાવાર રીતે એક વિદેશી ચલણ તરીકે મંજૂરી આપી છે પણ ભારતીય રુપિયાથી શ્રીલંકામાં પેમેન્ટ  કે કોઈ પણ પ્રકારની ચૂકવણી માટે લીગલ ટેન્ડર તરીકે માન્યતા આપી નથી. બેન્કે કહ્યું કે શ્રીલંકાના લોકોએ ભારતીય રુપિયા સંબંધિત આ તથ્યોની ખોટી વ્યાખ્યા થવાથી ગેરમાર્ગે ન દોરાવું જોઈએ. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શું કહ્યું હતું 

ખરેખર તો શ્રીલંકાએ ભારત સાથે વેપારને સુગમ અને સુવિધાજનક બનાવવા માટે ભારતીય રૂપિયાને ડેઝિગ્નેટેડ ફોરેન કરન્સીનો દરજ્જો આપ્યો હતો. જુલાઈના મહિનામાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પણ કહ્યું હતું કે ભારતીય રૂપિયો શ્રીલંકામાં ડેઝિગ્નેટેડ ફોરેન કરન્સી છે. તેનો અર્થ એમ થયો કે બંને દેશ વેપાર દરમિયાન ચૂકવણી માટે  ભારતીય રૂપિયાનો ઉપયોગ કરી શકશે અને શ્રીલંકા આવનારા ભારતીય પર્યટકો પણ રુપિયામાં લેવડ-દેવડ કરી શકશે.