અમદાવાદના વટવામાં દસ વર્ષ પહેલાં૨૦૧૪માં બનાવવામાં આવેલા ૧૬૬૪ જેટલા આવાસ ૧૪ મહિનાના સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં આવાસ તોડવાની કામગીરી લાંબા સમયથી ચાલતી હોવાછતાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયર કહે છે કે અમને તો ખબર જ નથી. ૧૫ જુલાઈ-૨૦૨૩થી વટવાના આવાસો પૈકી નહીં ફાળવવામાં આવેલા આવાસો તોડી પાડવાની કામગીરી શરુ કરાઈ હતી.૧૪ મહીનાથી મ્યુનિસિપલ કોર્પોરેશન નહીં ફાળવવામા આવેલા આવાસો વહીવટી તંત્ર દ્વારા તોડાવવામાં આવી રહયા હોય અને મેયર સહીતના પદાધિકારીઓને તંત્ર જાણ ના કરે એ બાબત ગળે ઉતરે એવી જ નથી.કેગ દ્વારા વર્ષ-૨૦૧૭માં જાહેર કરવામાં આવેલા રીપોર્ટ પછી પણ મ્યુનિ.તંત્રે વટવા ખાતે નહીં ફાળવવામાં આવેલા આવાસોની ફાળવણી કયા કારણથી ના કરી એનો પણ કોઈ પાસે જવાબ નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવા ખાતે બનાવવામાં આવેલા આર્થિક નબળા વર્ગના આવાસ તોડી પાડવાના મુદ્દે સર્જાયેલા વિવાદમાં વિપક્ષ દ્વારા શુક્રવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે  તંત્ર અને સત્તાધીશો સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવાની સાથે મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.આવેદનપત્રમાં વટવા ખાતે ૨૨૦૦ પૈકી  એકહજાર આવાસ તોડી પડાયા , આ આવાસ  કયા કારણથી ગરીબ વર્ગના લાભાર્થીઓને ફાળવવામાં ના આવ્યા સહીતના મુદ્દા જવાબદારો સામે નિષ્પક્ષ અને ઝડપથી કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી.વટવા આવાસ તોડી પાડવાના મુદ્દે પહેલી વખત ભાજપના પદાધિકારીઓ વહીવટી તંત્ર સામે આક્રામક મુડમાં જોવા મળ્યા હતા. મેયર પ્રતિભા જૈને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહયુ,તમે કાર્યવાહી કરી છે તો તમે જ જવાબ આપજો મિડીયાને.

આવાસોમાં સળીયા દેખાતા સ્ટ્રકચરલ સ્ટેબીલીટી રીપોર્ટ કરાવાયો,ડેપ્યુટી મ્યુનિ.કમિશનર

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રીધ્ધેશ રાવલે કહયુ,વટવા ખાતે બનાવવામાં આવેલા આવાસો પૈકી અમુક આવાસમાં છતના સળીયા બહાર નીકળી ગયા હતા.અમુકમાં દિવાલમાં ગાબડા પડયા હતા.જયારે એક મકાન નમી ગયુ હતુ. આ પ્રકારના વિવિધ કારણોને લઈ માર્ચ-૨૦૨૩માં સ્ટ્રકચરલ સ્ટેબીલીટીનો રીપોર્ટ મેળવવામાં આવ્યો હતો. આ રીપોર્ટ આવ્યા પછી ૧૫ જુલાઈ-૨૦૨૩ ના રોજ જર્જરીત થયેલા આવાસો તોડવા અંગે તંત્ર તરફથી નિર્ણય કરવામાં આવ્યો હતો.વર્ષ-૨૦૧૪માં કુલ છ ફેઝમાં ૮૯૬૦ આવાસ બનાવવામાં આવ્યા હતા. આ આવાસ બનાવવાનો કોન્ટ્રાકટ એમ.વી.ઓમની ને આપવામાં આવ્યો હતો. ડીફેકટ લાયાબીલીટી પિરીયડ વર્ષ-૨૦૧૭માં પુરો થયો હતો.કુલ રુપિયા ૫૫.૨૦ કરોડના આ પ્રોજેકટના પાંચમા ફેઝમાં બનાવવામા આવેલા  આવાસો પૈકી  સ્ટ્રકચરલ સ્ટેબીલીટીના રીપોર્ટ બાદ અત્યારસુધીમાં કુલ ૧૬૬૪ આવાસ તોડી પડાયા છે.જયારે ૨૨૪ આવાસમાં લોકો વસવાટ કરી રહયા છે. આ આવાસ તોડી પાડવાનો ઓર્ડર ૧૫ જુલાઈ-૨૦૨૩ના રોજ આપવામા આવ્યો હતો.૫૯ પૈકી ૫૨ બ્લોક તોડી પડાયા છે.કોન્ટ્રાકટર એલ.જે.પુરાણીને આવાસ તોડાયા બાદ નીકળતા કાટમાળ ઉપાડવાની કામગીરી આપવામાં આવી છે.

વટવા ખાતેના આવાસ તોડવા મુદ્દે તંત્ર પાસે આ મુદ્દાઓનો જવાબ નથી

૧. દસ વર્ષ પહેલા આર.સી.સી.સ્ટ્રકચરથી બનાવવામાં આવેલા આવાસો પૈકી અંદાજે બે હજાર આવાસ એકાએક જર્જરીત કેવી રીતે થઈ ગયા?

૨.આર્થિક નબળા વર્ગના લાભાર્થીઓ માટે આવાસો બનાવાયા હતા.કેગના અહેવાલ પછી પણ સાત વર્ષ સુધી મ્યુનિસિપલ વહીવટી તંત્રે ફાળવણી નહીં કરાયેલા આવાસોનો ડ્રો કરી લાભાર્થીઓને આવાસોની ફાળવણી કેમ ના કરી?

૩. દસ વર્ષ પહેલા બનાવવામાં આવેલા ગરીબ વર્ગના લોકો માટેના આવાસો ફાળવણી કર્યા પહેલા મ્યુનિ.તંત્ર આવાસો તોડવા અંગેના નિર્ણય જેવી બાબત ભાજપના પદાધિકારીઓને ના કરાઈ હોય એ બાબત શકય જ નથી.

બુલેટટ્રેન પ્રોજેકટને લઈ આવાસો તોડાયાના ચર્ચાએ જોર પકડયુ

અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી ખુબ ઝડપથી ચાલી રહી છે. આ પરિસ્થિતિમાં વટવા ખાતે બનાવવામા આવેલા આર્થિક નબળા વર્ગના લોકો માટેના નહીં ફાળવવામા આવેલા આવાસો જમીનદોસ્ત કરી એ જમીનને મોખરાની બનાવવાના કારસા રુપે કોઈના રાજકીય દબાણ હેઠળ આ આવાસો તોડી પડાયાની ચર્ચાએ સ્થાનિકોમાં જોર પકડયુ છે.

  મ્યુનિ.તંત્ર પાસે સ્ટ્રકચરલ એન્જિનીયર જ નથી

વર્ષે બાર હજાર કરોડનું અંદાજપત્ર ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ ,મુખ્યમંત્રી આવાસ યોજના સહીતની વિવિધ કેન્દ્ર અને રાજય સરકાર પાસેથી મળતી કરોડો રુપિયાની ગ્રાન્ટમાંથી ઈ.ડબ્લ્યુ.એસ., એલ.આઈ.જી., એમ.આઈ.જી., જેવી આવાસ યોજના હેઠળ દર વર્ષે મોટી સંખ્યામાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવાસો તૈયાર કરાવવામાં આવે છે. આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર પાસે સ્ટ્રકચરલ સ્ટેબીલીટી રીપોર્ટ તૈયાર કરીને આપે એવા સ્ટ્રકચરલ એન્જિનીયર નહીં હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.