‘ભારત કોઈ દુઃસાહસ કરશે તો જવાબ આપીશું..’ મોદીના નિવેદન બાદ પાકિસ્તાનની ધમકી

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા ‘પાકિસ્તાનને બંગડીઓ પહેરાવવાનું’ નિવેદન આપ્યું હતું, જેના પર પાકિસ્તાન ભારે ગુસ્સે થયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતના નેતાઓએ તેમના ચૂંટણી લાભ માટે પાકિસ્તાનને સ્થાનિક રાજકારણમાં ઢસડવાનું બંધ કરવું જોઈએ. 

ભારતને આપી ચેતવણી! 

આ સાથે પાકિસ્તાને ભારતને ચેતવણી પણ આપી છે કે જો ભારત કોઈ પગલું ભરશે તો તેનો જવાબ આપતાં ખચકાશે નહીં. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે પાકિસ્તાન અંગે વડાપ્રધાન મોદી અને અન્ય કેબિનેટ મંત્રીઓની ટિપ્પણીઓને લઈને એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતીય નેતાઓના આક્રમક નિવેદનો પર ધ્યાન આપવાનું આહ્વાન કરીએ છીએ. આ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ખતરો છે. 

ચૂંટણીમાં લાભ લેવા નામ લેતા હોવાનો નેતાઓ પર મૂક્યો આરોપ… 

પ્રવક્તાએ કહ્યું કે ભારતમાં ચાલી રહેલા લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય નેતાઓ દ્વારા પાકિસ્તાન વિરોધી નિવેદનબાજીમાં વધારો થયો છે, જેને પાકિસ્તાન નકારે છે. પાકિસ્તાની પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, ‘અફસોસની વાત એ છે કે આ નિવેદનો પાકિસ્તાન પ્રત્યે નફરત અને ઊંડો જુસ્સો દર્શાવે છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ નિવેદનો જાણીજોઈને કરીને નેતાઓ ચૂંટણીલક્ષી લાભ માટે અતિ રાષ્ટ્રવાદનો લાભ લેવા માગે છે. આ નિવેદનો વધતી જતી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટીકાઓથી ધ્યાન હટાવવાનો ભયાવહ પ્રયાસ પણ સૂચવે છે. ઝહરા બલોચે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે પાકિસ્તાનની વ્યૂહાત્મક ક્ષમતાનો હેતુ તેની સાર્વભૌમત્વ અને તેની ક્ષેત્રીય અખંડિતતાની રક્ષા કરવાનો છે.

જો કોઈ દુઃસાહસ કરશે તો… 

પાકિસ્તાની પ્રવક્તાએ ભારત પર નિશાન સાધતા વધુમાં કહ્યું કે, ‘પાકિસ્તાને ભૂતકાળમાં પણ પોતાની રક્ષા કરવાનો સંકલ્પ બતાવ્યો છે અને જો ભારતીય પક્ષ કોઈ પણ દુઃસાહસ કરશે તો અમે ભવિષ્યમાં પણ તેનો જવાબ આપવામાં ખચકાશું નહીં. 

શરૂઆત રાજનાથ સિંહના નિવેદનથી થઇ?

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે થોડા સમય પહેલા કહ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર બળજબરીથી કબજો કરવાની જરૂર નથી, ત્યાંના લોકો પોતે જ ભારત સાથે જોડાશે. સંરક્ષણ મંત્રીના આ નિવેદનનો જવાબ આપતા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ‘જો સંરક્ષણ મંત્રી આવું કહેતા હોય તો ભલે બોલે આપણે કોને રોકીએ છીએ? પણ યાદ રાખજો, પાકિસ્તાને બંગડીઓ પહેરી નથી. તેની પાસે પરમાણુ બોમ્બ છે અને કમનસીબે તે આપણા પર પડશે. ફારુક અબ્દુલ્લાના આ નિવેદન પર ભાજપે ભારે હોબાળો મચાવ્યો હતો અને કહ્યું કે વિપક્ષના ગઠબંધનના નેતાઓ પર પાકિસ્તાનની છાપ દેખાઈ રહી છે.

પીએમ મોદીએ શું કહ્યું હતું…?

આ પછી બિહારના મુઝફ્ફરપુરમાં ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘આ લોકો એટલા ડરી ગયા છે કે તેઓ રાત્રે સપનામાં પણ પરમાણુ બોમ્બ જુએ છે. I.N.D.I.A. ગઠબંધનના નેતાઓના નિવેદનો જુઓ… તેઓ કહે છે કે પાકિસ્તાને બંગડીઓ પહેરી નથી. અરે ભાઈ હું પહેરાવી દઈશ. તેમને લોટ પણ જોઈએ છે, વીજળી નથી. હવે અમને ખબર ન હતી કે તેમની પાસે બંગડીઓ પણ નથી.