સિંગાપોર અને હોંગકોંગ બાદ હવે નેપાળે પણ બે ભારતીય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને MDHના વેચાણ, વપરાશ અને આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. નેપાળના ફૂડ ટેક્નોલોજી એન્ડ ક્વૉલિટી કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા આ મસાલામાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ હોવાની આશંકા વચ્ચે આ નિર્ણય લીધો છે. આ મસાલામાં ઇથિલિન ઓક્સાઇડની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી હતી. 

પ્રતિબંધ મૂકતાં શું કહ્યું નેપાળે? 

નેપાળના ફૂડ ટેક્નોલોજી વિભાગના પ્રવક્તા મોહન કૃષ્ણ મહારાજને જણાવ્યું કે એવરેસ્ટ અને MDH બ્રાન્ડના મસાલાની આયાત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અમે બજારમાં આ મસાલાના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ મસાલામાં હાનિકારક રસાયણો હોવાના સમાચાર મળ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. આ બંને બ્રાન્ડના મસાલામાં ખતરનાક કેમિકલની તપાસ ચાલી રહી છે. તેનો તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી પ્રતિબંધ જળવાઈ રહેશે.

બ્રિટન સહિત આ દેશોમાં પણ તપાસ શરૂ થવાની શક્યતા 

ઉલ્લેખનીય છે કે MDH અને એવરેસ્ટ દાયકાઓથી રસોઈમાં વપરાતાં મસાલાઓમાં મોટું નામ બની ગયા છે. આ બ્રાન્ડ્સના મસાલા મધ્ય પૂર્વ સહિત વિશ્વના ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. MDH અને એવરેસ્ટ મસાલાની તપાસ બ્રિટન, ન્યુઝીલેન્ડ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ શરૂ થઈ શકે છે. બીજી બાજુ કડક પગલાં લેતા બ્રિટનની ફૂડ સેફ્ટી એજન્સી (FSA) એ કહ્યું હતું અમે ભારતમાંથી આવતા તમામ મસાલા પર ઝેરી જંતુનાશકોનું પરીક્ષણ કરી રહ્યા છીએ. હાલમાં આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. 

ન્યૂઝીલેન્ડમાં પણ તપાસનો દોર! 

ન્યુઝીલેન્ડના ફૂડ સેફ્ટી રેગ્યુલેટરી ડિપાર્ટમેન્ટના કાર્યવાહક ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જેન્ની બિશપે જણાવ્યું હતું કે ઇથિલિન ઓક્સાઇડ એક રસાયણ છે, જે મનુષ્યમાં કેન્સરનું કારણ બની શકે છે. MDH અને એવરેસ્ટ મસાલા પણ ન્યુઝીલેન્ડના બજારોમાં વેચાય છે. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.

ઇથિલિન ઓક્સાઇડ શું છે?

ઇથિલિન ઓક્સાઇડ એ રંગહીન ગેસ છે. રૂમ ટેમ્પરેચરમાં રખાતા તેમાંથી એક મીઠી ગંધ આવે છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (NCI) અનુસાર, આ ગેસનો ઉપયોગ ઇથિલિન ગ્લાયકોલ (એન્ટિ-ફ્રીઝ) જેવા રસાયણો બનાવવા માટે થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ કાપડ, ડીટરજન્ટ, ફોમ, દવાઓ, એડહેસિવ અને સોલવન્ટ બનાવવામાં પણ થાય છે.