ઈસનપુર પોલીસે અંજામ આપનાર આરોપીને કોલકાતાથી દબોચ્યો

અપહરણ અને બળાત્કારના ગુનામાં ઝડપાયા બાદ પોલીસના સંગતમાં આવેલા આરોપીએ એક બાદ એક 30 ગુનાને અંજામ આપ્યો. જેમાં ક્રાઈમ બ્રાન્ચ અથવા તો એલસીબીના પીએસઆઇ જાડેજાની ઓળખાણ આપી તમામ લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હતાં. આરોપીની ઇસનપુર પોલીસે કોલકાતાથી ધરપકડ કરીને તેની સામે વધુમાં વધુ ગુના દાખલ થાય તે માટેની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ઇસનપુર પોલીસ પકડેલા આરોપી પ્રકાશ વિરુદ્ધ અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધાયો હતો.

જે ગુનામાં કોર્ટમાંથી તેનું ધરપકડ વોરંટ નીકળતા પોલીસે કોલકાતાથી તેની ધરપકડ કરી. જોકે, તેની પૂછપરછ કરતા એક નવી જ મોડેસ એપરેન્ડીથી કરવામા આવતી છેતરપિંડીની હકિકત સામે આવી છે. જેમા પીએસઆઇ જાડેજાના નામે ઓળખ આપી લોકો તથા પોલીસ સાથે પણ છેતરપિંડી કરી છે. લોકોને પોતાની વાતોમાં ભેળવી આરોપી પ્રકાશ તેમની પાસેથી 20-30 હજાર રૂપિયા પડાવી લેતો હતો.રકમ નાની હોવાથી કોઈ ફરિયાદ પણ નહોતુ કરતું. આરોપીએ 30 ગુનાને અંજામ આપ્યો હોવાનુ સામે આવ્યુ છે.
આરોપી પ્રકાશની ધરપકડ કરી તેની પુછપરછ કરતા હકિકત સામે આવી કે, આરોપી હોટલ માલિક, જ્વેલર્સ, આંગડીયા પેઢીના સંચાલકોને ફોન કરી કોઈ પોલીસ કર્મી કે પરિવારના કોઈ સભ્યનો અકસ્માત થયો છે અને હોસ્પિટલમા રૂપિયાની જરૂર હોવાનુ બહાનુ કાઢી 20થી 30 હજાર પડાવી લેતો હતો.

જોકે પોલીસે તપાસ કરતા આરોપીએ અમદાવાદ, બરોડા, ભાવનગર, ભરૂચ, આણંદ, સુરત અને મહેસાણામાં લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલીસ લોકોને શોધીને આરોપી વિરુદ્ધ વધુને વધુ ગુના નોંધવા તજવીજ હાથ ધરી છે.આરોપીએ વસ્ત્રાપુરમાં એક પોલીસ કર્મી પાસેથી પણ રૂપિયા પડાવ્યા હતા.જેની પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે આરોપી માત્ર મોજશોખ કરવા માટે જ તથા મોંઘીદાટ હોટલમાં રહેવા માટે રૂપિયા પડાવતા હોવાનુ સામે આવ્યુ છે.