રાજસ્થાનનું કોટા શહેરમાં વિદ્યાર્થીઓના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે NEETની પરીક્ષાની તૈયારી કરી રહેલા 2 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો હતો.
આ વિદ્યાર્થીઓના મોતની ગંભીરતાને જોતા જિલ્લા કલેક્ટરે આદેશ જારી કર્યો છે, જે મુજબ કોટામાં કોઈ પણ કોચિંગ સેન્ટરમાં આગામી બે મહિના સુધી પરીક્ષાઓ યોજશે નહીં. વિદ્યાર્થીઓની માનસિક સહાય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વર્ષે કોટામાં 23 વિદ્યાર્થીઓના મોત થયા
મળતી માહિતી મુજબ ગઈકાલે 2 વિદ્યાર્થીઓના મોત બાદ કોટામાં આ વર્ષે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 23 થઈ ગઈ છે. ગયા વર્ષે તેની સંખ્યા 15 હતી. ઓગસ્ટ મહિનામાં જ કોટાના 7 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. કોટામાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે હોસ્ટેલમાં ઘણા ફેરફાર કર્યા છે.
શું કહે છે હોસ્ટેલ માલિકો?
હોસ્ટેલ માલિકોનું કહેવું છે કે આ ખૂબ જ દુઃખદ ઘટનાઓ છે અને તેનાથી બચવા માટે આવા પગલા લેવા ખૂબ જરૂરી છે. દર વર્ષે બે લાખથી વધુ વિદ્યાર્થીઓ JEE અને NIT જેવી પરીક્ષાઓની તૈયારી માટે કોટા જાય છે. બાળકો કોઈ મોટું પગલું ન ભરે તે માટે હોસ્ટેલની તમામ લોબી અને બાલ્કનીઓમાં મોટી જાળીઓ લગાવવામાં આવી છે. આ જાળી 150 કિલો સુધીના વજનનો સામનો કરી શકે છે અને વિદ્યાર્થીઓને ઈજા ન થાય તેની પણ ખાતરી કરે છે.