વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સમાપ્ત થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. BCCIએ આ પ્રવાસનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસમાં બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ T20 મેચો રમશે. વિન્ડીઝ પ્રવાસ ભારતના આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલની શરૂઆત પણ કરશે. આ સાથે ટીમ ઈન્ડિયાને વનડે વર્લ્ડ કપની તૈયારીઓને અમલમાં મૂકવાની તક મળશે.

ભારતીય ટીમને મળ્યો 1 મહિનાનો બ્રેક

ભારતીય ટીમને WTC ફાઈનલ બાદ લગભગ એક મહિનાનો બ્રેક મળ્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી ડોમનિકામાં બે મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થશે. બીજી ટેસ્ટ 20 જુલાઈથી ત્રિનિદાદમાં રમાશે.  ત્રણ મેચની વનડે સિરીઝ 27 જુલાઈથી શરૂ થશે. બીજી વનડે મેચ 29 જુલાઈના રોજ બાર્બાડોસમાં રમાશે, જ્યારે ત્રીજી વનડે 1 ઓગસ્ટે ત્રિનિદાદમાં રમાશે.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 5 T20 મેચો રમાશે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ 3 ઓગસ્ટથી શરૂ થશે. પ્રથમ T20 ત્રિનિદાદમાં, બીજી T20 6 ઓગસ્ટે ગયાનામાં, ત્રીજી T20 8 ઓગસ્ટે ગયાનામાં, ચોથી T20 12 ઓગસ્ટે ફ્લોરિડામાં અને પાંચમી T20 13 ઓગસ્ટે ફ્લોરિડામાં રમાશે. એટલે કે યુએસએમાં પણ બે T20 રમાશે. આગામી T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં જ રમાશે.

ભારતીય ટીમમાં થઇ શકે છે ફેરફાર

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને T20 સિરીઝ માટે ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવી શકે છે. આગામી WTC ફાઈનલ 2025માં રમાશે. આ સ્થિતિમાં નવા ખેલાડીઓને તૈયાર કરવા માટે આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. મળેલા અહેવાલો અનુસાર ખરાબ પ્રદર્શનના કારણે ચેતેશ્વર પૂજારા અને ઉમેશ યાદવને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. આ સાથે જ તેમના સ્થાને યશસ્વી જયસ્વાલ અને મુકેશ કુમારને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

રોહિત અને કોહલીને ટીમમાં જગ્યા મળવી મુશ્કેલ

T20 સિરીઝ માટે સંપૂર્ણપણે નવી ટીમ મોકલી શકાય છે. આમાં IPLમાં શાનદાર પ્રદર્શન કરનારા કેટલાક ખેલાડીઓનો પણ સમાવેશ થઈ શકે છે. રિંકુ સિંહ અને જીતેશ શર્મા જેવા ખેલાડીઓને T20 ટીમમાં તક મળી શકે છે. આ સિવાય ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલ પણ T20 ટીમમાં જગ્યા બનાવી શકે છે. લાંબા સમય બાદ IPLમાં વાપસી કરનાર મોહિત શર્માને પણ ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી શકે છે. મોહિતે IPLમાં શાનદાર બોલિંગ કરી હતી. આ ઉપરાંત રોહિત શર્મા અને વિરાટ કોહલીને ફરી એકવાર T20 ટીમની બહાર રાખવામાં આવી શકે છે, જ્યારે સિરાજ અને શમીને વર્કલોડ અને આગામી વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને T20 સિરીઝ દરમિયાન આરામ આપવામાં આવી શકે છે.