દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના નાના એવા ઝારેરા ગામના રહીશ અને ભારતીય લશ્કરમાં કોબ્રા કમાન્ડો તરીકે મહત્વપુર્ણ ફરજ બજાવતા સગર યુવાન દિલીપભાઈ સોલંકીનું ઓરિસ્સા ખાતે કોબ્રા કમાન્ડોની ટીમમાં ફરજ દરમિયાન શહિદ થતા મોડી સાંજે તેમના પાર્થિવ દેહને માદરે વતન લઇ જવાયો હતો.જે વેળાએ મોટી સંખ્યામાં લોકો પણ નાના મોટા અનેક વાહનો સાથે જોડાયા હતા.જયાં ત્રિવેણી ઘાટ પર લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર થશે.
જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાબેના ઝારેરા ગામે રહેતા સગર ગોવાભાઈ મેસાભાઈ સીર (સોલંકી)ના નાના પુત્ર દિલીપભાઈ સોલંકી આજથી આશરે સાત વર્ષ પૂર્વે આર્મીની કઠિન ટ્રેનિંગ પાસ કરીને ભારતીય લશ્કરમાં જોડાયા હતા. અહીં તેમને કોબ્રા કમાન્ડો તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.
![](https://images.bhaskarassets.com/web2images/960/2023/09/29/28jamnagar-pullout-pg4-0_7d6e05b7-819c-4c88-a6a8-417df2d460de-large.jpg)
બે ભાઈમાં નાના અને અપરિણીત તેવા સગર દિલીપભાઈ સોલંકી ઓડિશા ખાતે તેમની ફરજ પર હતા તે દરમિયાન તેઓ શહીદ થયા હોવાના સમાચાર આવતા ભાણવડ પંથક સહિત દેવભૂમિમાં શોકની લાગણી ફેલાઇ છે.શહિદવીરના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટથી બપોરે વતન ઝારેરા ખાતે લાવવામાં આવી રહયો છે.જયારે ભાણવડ નજીકના ત્રિવેણી સંગમ ખાતે લશ્કરી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.આર્મી અધિકારીઓ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં સગર સમાજ સહિતના અગ્રણીઓ અને સ્થાનિક લોકો પણ જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલીપભાઈ સોલંકીની થોડા સમય પૂર્વે સગાઈ થઈ હતી અને આગામી માસમાં તેમના લગ્ન પણ થનાર હોવાનું જાણવા મળ્યું છે. શહીદના પાર્થિવદેહને ત્રિવેણી ઘાટ લાવવામાં આવી રહ્યો છે જ્યાં તેઓના અંતમ સંસ્કાર કરવામાં આવશે. શહીદ યાત્રામાં સેંકડો વાહનો સાથે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2023/09/29/28jamnagar-pullout-pg4-0_89865f81-af91-49e0-a77b-8f57d59aebb9-large.jpg)