ભાણવડ નજીક આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણી અમાસના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. ત્રિવેણી સંગમ ખાતે મંદિર ટ્રસ્ટ તરફથી થતો આ લોકમેળો આ વખતે ટ્રસ્ટ દ્વારા યોજવા અંગેની ના કહેવામાં આવતા આ બાબતની જાણ ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયાને થઈ હતી. તેમના દ્વારા આ બાબતે તાત્કાલિક આયોજન કરી અને ભાણવડ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા મામલતદાર સાથે સંકલન સાધવામાં આવ્યું હતું.
આજરોજ શુક્રવાર તારીખ 15મીના રોજ યોજાનાર લોકમેળા માટે યોગ્ય આયોજન તેમજ આ માટે મંગળવાર તારીખ 12ના રોજ સ્ટોલના પ્લોટોની હરાજી કરવામાં આવી હતી. લોકમેળામાં વિવિધ સ્ટોલની હરાજી મારફતે રૂપિયા 13 લાખ જેટલી નોંધપાત્ર રકમની આવક થવા પામી હતી.
![](https://images.bhaskarassets.com/web2images/960/2023/09/15/23b40d22-dca8-457a-bd8f-03e2838ccd17_1694771048808.jpg)
અમાસના માત્ર ત્રણ દિવસ પૂર્વે જ આ આયોજન થઈ જતા ટૂંકા સમયગાળામાં જ નગરપાલિકાને રૂ. 13 લાખની આવક થવા પામી હતી. પરંતુ જો અગાઉ આયોજનબદ્ધ રીતે આ અંગેની કામગીરી કરવામાં આવી હોત તો પાલિકાને આશરે 30થી 40 લાખની આવક થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી હતી. એક સમયે આ લોકમેળામાં મંદિર ટ્રસ્ટને હરાજીના રૂપિયા ચારેક લાખની આવક થતી હતી. જ્યારે આ વખતે નગરપાલિકાના આયોજનથી પાલિકાને રૂ. 13 લાખથી વધુ રકમની આવક થઈ છે.
આજરોજ શુક્રવારે યોજાયેલા આ લોકમેળામાં વહેલી સવારથી જ ગ્રામ્ય પંથકના લોકો ઉમટ્યાં હતા અને ઈન્દ્રેશ્વર મહાદેવના મંદિર ખાતે દર્શનનો પણ લાભ લીધો હતો. એક સમયે આ સ્થળે ટ્રાફિક જામ જેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા.
![](https://images.bhaskarassets.com/web2images/960/2023/09/15/d92c74c1-4162-40b5-a9e0-0881f4b52ef9_1694771048808.jpg)