ફરહાન અખ્તરે ફરી ત્રણેય હિરોઈન સાથે વાત કરી. 

અગાઉ ત્રણેયની ડેટ્સ  ન  મળતાં આ પ્રોજેક્ટ અભેરાઈ પર ચઢાવી દેવાયો હતો. 

આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ એ ત્રણેયને સાથે લઈ બનનારી ફિલ્મ ‘જી લે જરા’ અભેરાઈ પર મૂકી દેવાઈ હતી. હવે આ પ્રોજેક્ટ ફરી રિવાઈવ કરવા પ્રયાસો હાથ ધર્યા છે. એક્ટર અને ફિલ્મ સર્જક ફરહાન અખ્તરે ત્રણેય હિરોઈનો સાથે ફરી આ પ્રોજેક્ટ રિવાઈવ કરવા અંગે વાતચીત શરુ કરી હોવાનું જાણવા મળે છે. ફરહાને ‘જિંદગી મિલેગ ન દોબારા’ ફિલ્મના ફિમેલ વર્ઝન તરીકે આ ફિલ્મ વિશે વિચાર કર્યો હતો. તેમાં ત્રણ બહેનપણીઓ વર્ષો પછી સાથે મળીને લોંગ રોડ ટ્રીપ પર નીકળે છે તેવી વાર્તા નક્કી કરવામાં આવી હતી. ફરહાને ગયાં વર્ષે આ પ્રોજેક્ટ આગળ ધપાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ, આ ત્રણેય હિરોઈનની  એકસાથે ડેટ્સ મળી ન હતી. ફરહાને એક તબક્કે ત્રણમાંથી કોઈ  એક કે બે હિરોઈનને રિપ્લેસ કરવાનું પણ નક્કી કર્યું હતું. પરંતુ, તેમાં પણ કોઈ આખરી નિર્ણય લેવાયો ન હતો. આ દરમિયાન જ ફરહાને રણવીર સાથે ‘ડોન થ્રી’ બનાવવાની જાહેરાત કરી દીધી હતી અને ‘જી લે જરા’  બાજૂ પર મૂકી દીધી હતી. 

હવે ફરહાને ત્રણેય હિરોઈનોનો સંપર્ક કર્યો છે. ફિલ્મની ટીમના જણાવ્યા અનુસાર ગયાં  વર્ષે આ પ્રોજેક્ટ માટે વાતચીત શરુ થઈ ત્યારે સ્ક્રિપ્ટનું કેટલુંક કામ બાકી હતું. પરંતુ, હવે એ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. વાસ્તવમાં પ્રિયંકા થોડા સમય પહેલાં ભારત આવી ત્યારે તેણે ફરહાન સાથે આ પ્રોજેક્ટ માટે વાત પણ કરી હતી. પ્રિયંકા બોલીવૂડમાં બહુ મોટાપાયે પુનરાગમન  કરવા ઈચ્છે છે અને તેથી તે કેટલાક સારા  પ્રોજેક્ટસ શોધી રહી છે. ગયાં વર્ષે આલિયા તેની મેટર્નિટી બ્રેકના કારણે તારીખો અંગે કશું કન્ફર્મ જણાવી શકી ન હતી. પરંતુ હવે તેણે ફૂલફલેજ્ડ કામ શરુ કરી દીધું છે. આગામી મહિનાઓમાં તે સંજય લીલા ભણશાળીની ‘લવ એન્ડ વોર’ ફિલ્મનું કામ પણ શરુ કરી દેવાની છે.