કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી સબંધો વણસ્યા છે. કેનેડાએ ખાલિસ્તાન તરફી વલણ દાખવતાં કેન્દ્રએ સરકારે મોટો નિર્ણય લીધો છે. ખાલિસ્તાન સમર્થક નિજ્જર હત્યા કેસ મામલે ભારત-કેનેડાના સંબંધમાં ખટાશ જોવા મળી રહી છે. એવામાં આજે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, કેનેડિય લોકો માટેની વિઝા પ્રોસેસ (Canada Visa Service Suspend)ને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.
કામગીરીમાં વિક્ષેપને કારણે લેવાયો નિર્ણય
કેનેડામાં વિઝા સેવાઓ પર, MEAના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, કેનેડામાં હાઈ કમિશન અને કોન્સ્યુલેટ દ્વારા સામનો કરવામાં આવી રહેલા સુરક્ષા જોખમોથી તમે બધા વાકેફ છો. આનાથી તેમની સામાન્ય કામગીરીમાં વિક્ષેપ પડ્યો છે. હાઈ કમિશન અને કોન્સ્યુલેટ્સ અસ્થાયી રૂપે પ્રક્રિયા કરવામાં અસમર્થ છે. માટે હાલમાં કેનેડિયન લોકોને ભારતના વિઝા નહીં મળે. અમે આ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ.
નિજ્જરની હત્યા મામલે સંભવિત સંડોવણીના આરોપ રાજકીય પ્રેરિત : વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયના પ્રવક્તા બાગચીએ કહ્યું કે, હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના આરોપ રાજકીય પ્રેરિત છે. હકીકતમાં, તાજેતરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દાવો કર્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટનો હાથ હોઈ શકે છે. જોકે, ત્યારબાદ વિદેશ મંત્રાલય દ્વારા આ આરોપોને ફગાવી દેવાયા હતા.
![](https://ab2news.com/r3e/uploads/2023/09/content_image_ad6d0930-3a77-47ec-b90c-0c21d8772c90.jpeg)