મદ્રાસ કોર્ટે સનાતન ધર્મ સાથે સબંધિત એક કેસને લઈને કહ્યું કે, સનાતન ધર્મ શાશ્વત કર્તવ્યોનો એક સમૂહ છે. તેને એક વિશેષ સાહિત્યમાં શોધી ન શકાય. તેમાં દરેક પ્રકારની જવાબદારીઓ સામેલ છે. ભલે તે રાષ્ટ્ર માટે હોય, રાજાનું પોતાની પ્રજા માટે હોય કે પછી માતા-પિતા અને ગુરૂઓ માટે હોય અને આ ઉપરાંત પણ અન્ય ફરજો સામેલ છે. મદ્રાસ હાઈકોર્ટે આ તમામ બાબતો સનાતન ધર્મ સબંધિત એક કેસની સુનાવણી દરમિયાન કહી હતી.
શું છે સમગ્ર મામલો
પ્રાપ્ત માહિતી પ્રમાણે થિરુ વીની સરકારી આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અન્નાદુરાઈની જયંતિના અવસર પર ‘સનાતનનો વિરોધ’ વિષય પર પોતાના વિચાર વ્યક્ત કરવા માટે કહ્યું હતું. આ પરિપત્રને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેના પર સુનાવણી કરતા જસ્ટિસ એન શેષશાયીએ આ તમામ વાતો કહી હતી.
સંવિધાનની કલમ (19)(1) અભિવ્યક્તિની આઝાદી આપે છે પરંતુ દરેક ધર્મ આસ્થા પર આધારિત છે. એટલા માટે જ્યારે ધર્મ સાથે સબંધિત મામલે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો પ્રયોગ કરવામાં આવે તો એ સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે, તેનાથી કોઈની ભાવનાને ઠેસ ન પહોંચે. મદ્રાસ હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, સ્વતંત્ર ભાષણ હેટ સ્પીચ ન હોઈ શકે. આ સાથે જ જસ્ટિસ એન શેષશાયીએ કહ્યું કે, શું કોઈ નાગરિકે પોતાના દેશને પ્રેમ ન કરવો જોઈએ અને શું પોતાના દેશની સેવા કરવી તેની ફરજ નથી? શું માતા-પિતાનું ધ્યાન ન રાખવું જોઈએ? જે કંઈ ચાલી રહ્યું છે તેના પ્રતિ સાચી ચિંતા સાથે આ અદાલત તેને પર વિચાર કરવાથી પોતાને રોકી ન શકી.
![](https://ab2news.com/r3e/uploads/2023/09/content_image_1fc08a70-b1b4-4ab3-b8df-66000b932fdd.jpeg)