ફેબ્રુઆરી 2019માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને કારણે કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની ફરજ પડી હતી. સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ અરજીઓની સુનાવણી દરમિયાન આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ નિર્ણય સાથે જમ્મુ અને કાશ્મીરને દેશના બાકીના ભાગોમાં સંપૂર્ણપણે વિલીન કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન તેમણે નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના આરોપોનો પણ જવાબ આપ્યો અને કહ્યું કે, આ સાચું છે કે કલમ 370 નાબૂદ કરવામાં આવી છે. પરંતુ આનાથી રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ છે.

આ દરમિયાન તેમણે કલમ 35Aનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તે જમ્મુ-કાશ્મીરના લોકો વચ્ચે ભેદભાવ કરે છે. ત્યાં રહેતા લાખો લોકોને મતદાન, શિક્ષણ અને સમાન રોજગારની તકો જેવા મૂળભૂત અધિકારો પણ મળ્યા નથી. તેમણે કહ્યું કે, ચીફ જસ્ટિસે પણ સ્વીકાર્યું છે કે કલમ 35A લોકો સાથે ભેદભાવ કરતી હતી. 5 ઓગસ્ટ, 2019ના નિર્ણયને સાચો ગણાવતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ પછી એવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેનાથી બંધારણનું ઉલ્લંઘન થયું હોય.

રાજ્યની બે મોટી પાર્ટી નેશનલ કોન્ફરન્સ અને PDPએ કેન્દ્રના નિર્ણય વિરુદ્ધ અપીલ દાખલ કરી છે. બંને પક્ષોનું કહેવું છે કે, આના કારણે રાજ્યની સ્વાયત્તતા છીનવાઈ ગઈ છે. તેના પર કેન્દ્ર સરકારે કહ્યું કે સત્ય એ છે કે કલમ 370 હટાવ્યા પહેલા લોકોને ઘણા મૂળભૂત અધિકારો નહોતા. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના ગૌરવના નામે આ પક્ષોએ હંમેશા લોકોને તેમના અધિકારોથી વંચિત રાખ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *