ચંદ્રયાન-3 40 દિવસની લાંબી મુસાફરી બાદ ઈસરોએ આપેલી માહિતી અનુસાર આવતીકાલે સાંજે 6:04 વાગ્યે ચંદ્રની સપાટી પર લેન્ડ કરવાની શક્યતા છે. આ લેન્ડર મોડ્યુલ ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર ઉતરશે. ચંદ્રયાન- 3નું લેન્ડિંગ એ સૌથી મહત્વપૂર્ણ, નાજુક અને જટિલ પ્રક્રિયા છે.
ઈસરોના પૂર્વ અધ્યક્ષ કે.કે. સિવને ચંદ્રયાન- 3ના લેન્ડીંગની છેલ્લી 15 મિનિટને પડકારજનક ગણાવી હતી. કારણકે 2019માં ચંદ્રયાન-2ના લેન્ડીંગ દરમ્યાન લેન્ડર મોડ્યુલ ચંદ્રની સપાટી કરતા 2.1 કિમીની ઉંચાઈએ પહોંચીને ક્રેશ થઇ ગયું હતું. જેના કારણે ચંદ્રયાન- 3માં પણ લેન્ડીંગ માટેની છેલ્લી 15 મિનિટ સૌથી મહત્વપૂર્ણ છે.
ઈસરોના વર્તમાન અધ્યક્ષ એસ. સોમનાથના જણાવ્યા મુજબ, ચંદ્રયાન-2ના લેન્ડીંગ દરમ્યાન આવેલી નાની તકનીકી ખામીથી થયેલી દુર્ઘટનાને રોકવા માટે તમામ વ્યવસ્થા ચંદ્રયાન-3માં કરવામાં આવી છે. જેથી લેન્ડીંગમાં સાવચેતી રાખી શકાય.
પૃથ્વી પર પ્લેન કે કોઈ ઓબ્જેક્ટનું લેન્ડીંગ સરળતાથી થઇ શકે છે. જેનું કારણ પૃથ્વી પરનું વાતાવરણ છે. પૃથ્વી પરના વાતાવરણ કારણે લેન્ડીંગ સુરક્ષિત રીતે થઇ શકે છે. જયારે ચંદ્ર પર વાતાવરણનો અભાવ હોવાથી આપોઆપ લેન્ડીંગ શક્ય નથી. જેથી ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે લૅન્ડરમાં રોકેટ લગાવી, લેન્ડરની ગતિને નિયંત્રિત કરીને લૅન્ડ કરવું શક્ય છે. જે ખૂબ જ પડકારજનક છે.
સોફ્ટ લેન્ડિંગ બાદ, રોવર પ્રજ્ઞાન પર મોકલવામાં આવેલા ત્રણ પેલોડમાંથી પ્રથમ ચંદ્રના દક્ષિણ ધ્રુવની માટી અને ખડકોનો અભ્યાસ કરશે. બીજો પેલોડ રાસાયણિક પદાર્થો અને ખનિજોનો અભ્યાસ કરશે અને જોશે કે તેમનું સ્વરૂપ કેવી રીતે બદલાયું છે જેથી તેમનો ઇતિહાસ જાણી શકાશે. ત્રીજો પેલોડ ચંદ્ર પર જીવનની સંભાવના શું છે અને પૃથ્વી સાથે તેની કોઈ સમાનતા છે કે કેમ તે જોશે. ચંદ્રયાન-3 પ્રોજેક્ટ ડાયરેક્ટર એમ અન્નાદુરાઈએ કહ્યું કે હવે મેચ ખરેખર શરૂ થઈ ગઈ છે. આ છેલ્લી ઓવરો છે જેની અમે વાત કરી રહ્યા છીએ. આશા છે કે આ વખતે મિશન સંપૂર્ણ રીતે સફળ થશે.
![](https://ab2news.com/r3e/uploads/2023/08/content_image_cfe61c47-1222-4ba4-8435-0d469e692a79.jpeg)