સંસદનું ચોમાસુ સત્ર ત્રણ અઠવાડિયાના હોબાળા બાદ આજે સમાપ્ત થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે IPC, CRPC અને એવિડેન્સ એક્ટનેુ રિપ્લેસ કરીને 3 નવા કાયદા બનાવવાની જાહેરાત કરી હતી. આ સાથે જ લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વિરોધ પક્ષોએ સંસદની બહાર દેખાવ કર્યો છે.
અમિત શાહે શું કહ્યું?
અમિત શાહે કહ્યું કે આ ત્રણેય કાયદાને રિપ્લેસ કરી તેની જગ્યાએ ત્રણ નવા કાયદા બનાવાશે. તેની ભાવના ભારતીયોને અધિકાર આપવાની હશે. તેનો ઉદ્દેશ્ય કોઇને દંડ આપવાનો નહીં હોય. તેનો ઉદ્દેશ્ય લોકોને ન્યાય આપવાનો રહેશે. તેમણે કહ્યું કે 18 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશો, ભારતની સુપ્રીમકોર્ટ, 22 હાઈકોર્ટ, ન્યાયિક સંસ્થાનો, 142 સાંસદો અને 270 ધારાસભ્યો ઉપરાંત પ્રજાએ પણ આ બિલ અંગે સૂચન આપ્યા હતા. ચાર વર્ષ સુધી તેના પર ઘણી ચર્ચા થઈ. અમે તેના માટે 158 બેઠકો કરી હતી.
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ભાજપ લોકશાહીને દબાવવા માંગે છે અને બંધારણને અનુસરવા માંગતા નથી. આ માટે અહીં I.N.D.I.A. ગઠબંધનના તમામ પક્ષોના લોકો વિરોધ કરી રહ્યા છે. લોકશાહીને જીવંત રાખવા માટે અમે સંસદની અંદર અને બહાર દરેક જગ્યાએ લડીશું. આ પહેલા અધીર રંજન ચૌધરીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવા સામે વિરોધ પક્ષો I.N.D.I.A. ગઠબંધનના સાંસદોએ લોકસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો અને સંસદમાં ડો.આંબેડકરની પ્રતિમા સુધી કૂચ કરી હતી.