ઉંઝા (Unjha) તાલુકાના અંતરિયાળ ગામોમાં ઈમરજન્સી આરોગ્યની સુવિધા મળે તે હેતુસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કંથરાવીને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી. જેના કારણે કંથરાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના કંથરાવી, પળી, નવાપુરા, સુરપુરા, ડાભી, સુરજનગર, સીંહી અને સુણકને ઈમરજન્સી આરોગ્ય સેવાઓ મળી રહેશે.

જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ ફાળવાઈ

મહેસાણા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ હરીભાઈ પટેલના પ્રયત્નો અને તેમને આપવામાં આવતી ગ્રાન્ટમાંથી રૂ.13.20 લાખ ફાળવી એમ્બ્યુલન્સ મંજુર કરાવવામાં આવી છે. એમ્બ્યુલન્સના લોકાર્પણ કાર્યક્રમમાં ઉંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, જિ.પં.મહેસાણાના કારોબારી અધ્યક્ષ હરીભાઈ પટેલ, ઉંઝા તાલુકાના THO ડૉ.પાર્થ કુમાર ઓઝા, તાલુકા ભાજપ પ્રમુખ લક્ષ્મણ પટેલ તથા આજુબાજુ ગામના આગેવાનો અને આરોગ્યનો તમામ સ્ટાફની ઉપસ્થિતિમાં ધારાસભ્ય અને કારોબારી સમિતિના અધ્યક્ષના હસ્તે એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ધારાસભ્યએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્યએ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આરોગ્યની 10 લાખ સુધીની મફત સારવાર માટે આયુષ્યમાન કાર્ડ સહિતની આરોગ્યની સેવાનો લાભ લેવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કંથરાવી ગામનો વિકાસ આ ગામના સક્રિય આગેવાનોના લીધે થઈ રહ્યો છે. તેમજ અન્ન ક્ષેત્રની મુલાકત લઈ કંથરાવી અને આજુબાજુ ગામોમાં જરૂરીયાત મંદોને મફત ટીફીન સેવાનું કાર્ય કરતી અન્ન ક્ષેત્રની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી.

 ધારાસભ્ય કિરીટ પટેલે કંથરાવીમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી કામોની મુલાકાત લીધી

આજ વિસ્તારના પ્રતિનિધિ અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હરીભાઈ પટેલે પણ કંથરાવી ગામના વિકાસના છેલ્લા 25 વર્ષથી સાક્ષી રહ્યા છે. કંથરાવી ગામના તત્કાલીન ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સાથે રહી વિકાસના કામોમાં સહભાગી તક મળેલ અને ત્યારથી વિકાસની વણથંભી યાત્રા શરૂ થયેલી તે યાદ તાજી કરી કંથરાવી, વિરતા, ગોરાદ, નવાપુરા,પળી જેવા અંતરીયાળ ગામોમાં થયેલા રોડ અને પુલના તથા ગામના વિકાસના કામોની ચર્ચા કરી.

આ ઉપરાંત ધારાસભ્ય કિરીટ પટેલે કંથરાવીમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી કામોની મુલાકાત લીધી હતી. તેમજ ભવિષ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં સી.સી.ટી.વી નાખવા માટે ચર્ચા કરી હતી. તો લોકાર્પણ કરેલ અમ્બુલન્સ વાનની જતન કરવાની જવાબદારી આરોગ્ય વિભાગ સાથે ગામ લોકોની હોવાનં પણ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *