જર્જરિત મકાન પર કિલ્લાની દીવાલ પડતાં બાળકી સહિત એક વૃદ્ધનું મોત

જેતપુરમાં આવેલ પૌરાણિક કિલ્લાની દીવાલની ભેખડ વરસાદને કારણે ધસી પડી હતી. જેના લીધે અંદાજે 100 વર્ષ જુના મકાનો ધરાશાયી થયા છે. મકાનમાં 8 વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો બહાર આવી છે. જેમાં એક વૃદ્ધ અને બે બાળકીના મોત થયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બનાવની જાણ થતાં ધારાસભ્ય જયેશ રાદડિયા સ્થળ પર પહોંચી ગયા હતા.
જુના મકાનો ધરાશાયી થતાં 8 વ્યક્તિઓ દટાયા
જેતપુરના ગોદરા વિસ્તારમાં આવેલું એક જૂનું મકાન ધરાશાયી થયુ છે. ઉપરના ભાગમાં વરસાદના કારણે પાણી વહેતું હોવાથી વર્ષો જૂની ગઢની રાંગની ભેખડ ધસી પડતાં બનાવ બન્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. અંદાજે 100 વર્ષ જુના મકાનો ધરાશાયી થતાં 8 વ્યક્તિઓ દટાયા હતા.

જેમાં 2 નાના બાળકો તેમજ 1 વ્યક્તિને રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં અન્ય વ્યક્તિઓને બહાર કાઢી સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી બહાર કઢાયા
કાટમાળ નીચે દટાયેલા લોકોને સ્થાનિકો અને પોલીસ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી બહાર કઢાયા છે.ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઘટનાસ્થળે પહોંચી નિરક્ષણ કર્યું અને બાદમાં હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.મકાન ધરાશાયી થતા વૃદ્ધા જયાબેન રાજુભાઈ મકવાણા તેમજ બે બાળકીઓ મેઘના અશોકભાઈ મકવાણા અને સિદ્ધિ વિક્રમભાઈ સાસડાનું મોત નીપજ્યું છે.હાલ તમામ લોકોને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.