શિક્ષિકાને આપઘાતની ફરજ પાડનાર આરોપી ઝબ્બે

જામનગરની ખાનગી શાળાની એક શિક્ષિકાએ ગયા મહિને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેણીની લખાયેલી મનાતી સ્યુસાઇડ નોટ પરથી પોલીસમાં ત્રણ શખ્સ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. જે પૈકી એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.

જામનગરની પંચવટી સોસાયટીમાં આવેલા શિતલ એપાર્ટમેન્ટમાં રહેતા અને એક ખાનગી શાળામાં શિક્ષિકાની ફરજ બજાવતાં નુરજહાંબેન ઇબ્રાહીમભાઈ હુંદડા નામની યુવતીએ ગઇ તા. ૧૭નાં રાત્રે ઘેર ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ થયા પછી દોડી ગયેલી પોલીસે તપાસ કરતા સ્યુસાઇડ નોટ મળી આવતા કબ્જે લઇ તપાસ હાથ ધરી હતી.

ત્યારબાદ શિક્ષિકાના સિક્કા ગામે રહેતા ભાઈ ઇશાક હુંદડાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અંગ્રેજીમાં લખાયેલી સ્યુસાઇડ નોટમાં શિક્ષિકાએ પોતાને બેડીના અફરોઝ તૈયબ ચમડીયા, રઝાક સાયચા, અખ્તર ચમડીયા પરેશાન કરતા હોવાનું લખ્યું હતું. તેના પરથી પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો હતો.

દરમિયાન આ ગુનામાં આરોપીઓની ધરપકડ માટે કરેલી તજવીજમાં અખ્તર અનવર ચમડીયા નામનો શખ્સને પકડી રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરાતા બે દિવસના રિમાન્ડનો હુકમ કર્યો હતો. હાલ બાકીના આરોપી રઝાક તથા અફરોઝની શોધખોળ પોલીસ દ્વારા ચલાવાઇ રહી છે.