વલભીપુરમાં રોગચાળો વકર્યો રોજીંદા 450 કેસ નોંધાવા પામ્યા

  એક માસમાં ડેન્ગ્યુના 30 થી વધુ કેસ આરોગ્ય કેન્દ્રમાં દર બે-ત્રણ દિવસે ડોક્ટરો બદલાતા દર્દીઓ મુશ્કેલીમાં: મોટાભાગના કેસ રીફર કરાતા હોવાની બૂમ.

વલભીપુર શહેરમાં રોગચાળો ફાટી નિકળ્યો હોવાનું જણાયું છે અને રોજીંદા ૩૦૦ની બદલે ૪૫૦ જેટલા કેસો નોંધાવા પામી રહ્યા છે. જ્યારે સરકારી હોસ્પિટલમાં પણ કાયમી ડોક્ટર ન હોવાના કારણે દર્દીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. છેલ્લા એક માસમાં ૩૦ થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. જે તમામ ભાવનગર રીફર કરવા મજબુર બને છે.

વલભીપુર શહેરમાં રોગચાળાએ માથુ ઉચક્યું છે. જેમાં ખાસ કરીને તાવ-તોડ, શરદી-ઉદરસ, ઝાડા-ઉલ્ટીના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ સરકારી દવાખાનામં કુલ ૪૦૦થી વધુ ઓપીડી રોજીંદી જોવામાં આવે છે. તેમજ ખાનદી દવાખાના પણ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. જ્યારે સરકારી દવાખાનામાં દર બે-ત્રણ દિવસે ડોક્ટર બદલાતા રહેતા દર્દીને સમાન દવા મળતી નથી. નવા ડોક્ટર નવી દવા આપી જાણે પ્રયોગ કરતા હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. તો મોટાભાગના કેસો ભાવનગર રીફર કરાતા હોવાનંુ પણ જણાયું છે. જ્યારે છેલ્લા એક માસમાં ૩૫ જેટલા ડેન્ગ્યુ કેસ સામે આવ્યા હોવાનું પણ જણાયું છે. અને આ તમામને ભાવનગર રીફર કરાયા છે. હાલ ચોમાસાના અંતિમ ચરણમાં રોગચાળો વકર્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને નિયમિત આરોગ્ય સેવા મળી શકે તેવી વ્યવસ્થા કરવી અનિવાર્ય બની છે. આ સાથે સરકારી દવાખાનાની લેબોરેટ્રીમાં પણ રીપોર્ટ માટે કલાકે સુધી રાહ જોવી પડતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેથી આરોગ્ય કેન્દ્રને કાયમી તબીબ મળે તેવી માંગ દર્દીઓમાંથી ઉઠવા પામી છે. તો બીજી તરફ પાણીજન્ય આ રોગચાળો વધુ ફેલાતા અટકાવવા નગરપાલિકાના સત્તાધિશો પણ પોતાની નિંદ્રામાંથી જાગી નક્કર પગલા લેવા અનિવાર્ય બન્યા છે. એક તરફ રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વલભીપુર શહેરમાં દવા છંટકાવ સહિતની કામગીરી કરવી ઘટે છે. અને જો નગરપાલિકા દ્વારા ત્વિરીત સ્વચ્છતા કામગીરી હાથ નહી ધરાય તો આગામી દિવસોમાં આ રોગચાળો વધુ વકરવાની સંભાવના છે. જે અંગે સ્થાનિક રાજકીય આગેવાનો એ પણ આળસ ખંખેરવી જરૂરી બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *