ભાવનગરમાં 27 વર્ષથી ચાલી રહેલી લડતનો અંત

શહેરમાં અશાંતધારો લાગુ કરવા માટે હિન્દુ સંગઠનો દ્વારા વર્ષોથી પ્રયત્નો કરવામાં આવતા હતા. અનેક વખત આવેદન પત્રો અને રેલીઓ કાઢી રજુઆત પણ કરાઈ હતી. ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારમાં સરકાર દ્વારા અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. શહેરના ભગાતળાવ, રાણીકા, બોરડીગેઇટ, પ્રભુદાસ તળાવ, ગીતા ચોક, ડોન ચોક, ડેરી રોડ, મુનિ ડેરી, તિલકનગર, જૂની માણેકવાડી, નવી માણેકવાડી, આનંદ નગર, ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, આંબાવાડી, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સરદાર નગર, ભરતનગર, શિશુવિહાર, કરચલિયા પરા, ખેડૂત વાસ, શિવાજી સર્કલ વિસ્તારોમાં અશાંતધારો લાગુ થયો છે. 

રાજ્ય સરકારે નોટીફિકેશન જાહેર કર્યું

ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવા માટે હિન્દુ સંગઠનો દ્વારા ત્રણ દિવસ પહેલા 10 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જે પૂરું થતા શહેરના મોખડાજી સર્કલ ખાતે સૂત્રોચાર સાથે દેખાવો કરવામાં આવ્યા હતાં. ધારાસભ્ય સેજલબેન પંડ્યાના ઘરની બહાર રામધુનનો કાર્યક્રમ રાખેલ હતો પરંતુ પોલીસ દ્વારા કાર્યક્રમને અટકાવી દેવાયો હતો. ભાવનગર શહેર વિસ્તારમાં અનેક એવા ડિસ્ટર્બ એરિયા છે કે જ્યાં વિધર્મી લોકો દ્વારા અનેક સોસાયટી વિસ્તારમાં પ્રવેશ કરીને મકાનોના સોદા કર્યા છે. જ્યારે અનેક વિસ્તારમાં તો વિધર્મીઓએ પ્રવેશ ન કરવા માટે હિન્દૂ સોસાયટીમાં વિસ્તાર દ્વારા જ બોર્ડ લગાવવામાં આવ્યા હતાં. હવે સરકારે સત્તાવાર પરિપત્ર કરીને અશાંતધારો લાગુ કરી દીધો છે.