ઘેડ પંથકમાં જીરુંના પાકનું વાવેતર

પોરબંદરના ઘેડ પંથકમાં ચાલુ વર્ષ દરમિયાન ચોમાસાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. અને ઉપરવાસના વિસ્તાર માંથી પણ પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણીની આવક થઇ હતી. ઘેડ પંથકમાં ચોમાસુ દરમિયાન હજારો વીઘા જમીનમાં વરસાદી પાણી ચિક્કાર ભરાયેલું હોવાના કારણે ખેડૂતોને ચોમાસુ પાક નિષ્ફળ ગયો હતો. પરંતુ સમયની સાથોસાથ વરસાદી પાણીનો ખેતરોમાંથી નિકાલ થવા લાગ્યો હતો. અને ખેડૂતોએ હજારો વીઘા જમીનમાં ઘેડ પંથકમાં જીરુંનું વાવેતર કર્યું હતું. ખાસ કરીને ઘેડ પંથકના ખેડૂતો માત્ર શિયાળું પાક ઉત્પાદન પર જ નિર્ભર રહે છે. કારણ કે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ફરી વળતું હોવાના કારણે ચોમાસું પાક નિષ્ફળ જાય છે. અને ઉનાળુ ઋતુ દરમિયાન પાણીનો અભાવ સર્જતો હોવાથી ઉનાળુ પાક ઉત્પાદન થતું નથી. ત્યારે ખેડૂતો પાક ઉત્પાદન પર જ નિર્ભર રહેતા હોય છે. આવી પરિસ્થિતીમાં પુષ્કળ પ્રમાણમાં જુવારના પાકનું વાવેતર ખેડૂતોએ કર્યુ હતું. અને ખેડૂતો જુવારના પાકની સાથો સાથ જીરુંના પાકનું પણ વાવેતર કરવા લાગ્યા છે. મોટાભાગના ખેતરોમાં જીરુંના પાકનું વાવેતર ખેડૂતોએ કર્યુ છે. ખાસ કરીને ઘેડ પંથકના બરડા પંથકમાં પણ પુષ્કળ પ્રમાણમાં જીરુંના પાકનું વાવેતર ખેડૂતોએ કર્યુ છે. અને હાલ જીરુંનો પાક સારો હોવાના કારણે ખેડૂતોને સારા ઉત્પાદનની આશા સેવાઈ રહી છે. જેથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી હતી.