વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે બ્રિટિશ ડિરેક્ટર રિચાર્ડ એટનબરોએ ગાંધી ફિલ્મ બનાવી ન હતી ત્યાં સુધી ગાંધીજી વિશ્વમાં ખાસ જાણીતા ન હતા. ગાંધીજી મહાન વૈશ્વિક આગેવાન હતા અને તેમને વિશ્વમાં જે સન્માન મળવું જોઈઅસ્તે સમ્માન મળ્યું નથી. લોકસભા ચૂંટણી દરમિયાન ટીવી ઇન્ટરવ્યુમાં તેમણે આ વાત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે ગાંધીજી જેવા મહાન નેતા અંગે સમગ્ર વિશ્વ જાણે તે જોવાની જવાબદારી આપણા રાજકીય નેતાઓની હતી, પણ તે એક ફિલ્મ ડિરેક્ટરે પૂરી કરી હતી. 

પીએમ મોદી અહીં તેમ કહેવા માંગતા હતા કે સ્વતંત્રતા પછી આપણી દુર્દશા જુઓ, ભારતના મહાન આગેવાનને વિશ્વએ એક ફિલ્મ પછી માન્યતા આપી, જ્યારે આપણા રાજકીય નેતાઓ આ કામગીરી બજાવવામાં નિષ્ફળ ગયા. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વએ આ ફિલ્મ જોઈને મહાત્મા ગાંધી અને તેમના સિદ્ધાંતોને જાણ્યા. 

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા સમગ્ર વિશ્વમાં આટલી જાણીતી હસ્તી હોઈ શકે તો ભારતે સારુ કામ કર્યું હોત તો આજે ગાંધી સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રચલિત હોત. 

તેમણે આ ઉપરાંત દાવો કર્યો હતો કે મહાત્મા ગાંધી પાસે ભારતની ઘણી મુશ્કેલીઓનો ઉપાય હતો. તેમણે આ પ્રસંગે માર્ચ ૨૦૨૪માં દાંડી કૂચની જયંતિએ સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી તેની યાદ અપાવી. 

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન તરીકે છેલ્લા દસ વર્ષ દરમિયાન તેમણે ભારતીય બંધારણના પિતા કહેવાતા ડો. બીઆર આંબેડકરના તીર્થસ્થાન ઉભા કર્યા છે.

ઉલ્લેખનીય છે કે ગાંધી ફિલ્મ ૧૯૮૨માં આવી હતી. આ ફિલ્મ બ્રિટિશરો સામે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય ચળળળકાર મહાત્મા ગાંધી પર આધારિત હતી. આ ફિલ્મ ભારત અને યુકે વચ્ચેના સંયુક્ત સાહસથી બની હતી. રિચાર્ડ એટનબરોએ તેનું દિગ્દર્શન કર્યું હતું. બેન કિંગ્સ્લેએ તેમા ગાંધીજીનું અદભુત રીતે ચિત્રણ કર્યું હતું. ગાંધી ફિલ્મએ ૧૯૮૨માં આઠ ઓસ્કર એવોર્ડ જીત્યા હતા. તેમા બેસ્ટ પિક્ચર,  બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ એક્ટરનો સમાવેશ થાય છે. 

ગાંધીજી અંગે પીએમની ટિપ્પણી બદલ કોંગ્રેસે ઝાટકણી કાઢી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીને ગાંધી ફિલ્મ બનાવવામાં આવી તે પહેલા વિશ્વમાં તેમને કોઈ ખાસ ઓળખતું ન હતુ તેમ કહેતા કોંગ્રેસ પીએમ પર તૂટી પડી હતી. કોંગ્રેસે પીએમ મોદીની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે ખોટો પ્રચાર કરનારાઓને લોકો બહારનો રરસ્તો બતાવી દે. કોંગ્રેસે જણાવ્યું હતું કે પીએમ મોદી જે વિચારધારામાં આવ્યા છે તેઓએ જ ગાંધીજીને ગોળી મારી હતી. તેઓનો ઇશારો દગોડસે તરફ હતો. કોંગ્રેસના જનરલ સેક્રેટરી વેણુગોપાલ રાવે જણાવ્યું હતું કે અમારે ગોડસે ભક્તો પાસેથી ગાંધીજી અંગે જાણવાની જરુર નથી.