તેલંગાણામાં 30 નવેમ્બરે યોજાનાર ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યું છે. આ દરમિયાન સત્તાધારી પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના કાર્યકારી અધ્યક્ષ અને રાજ્ય સરકારમાં મંત્રી કે.ટી.રામારાવ (KTR) એક દુર્ઘટનાનો શિકાર થઇ ગયા. અહીં નિઝામાબાદ જિલ્લાના આર્મૂર વિસ્તારમાં રોડ શો દરમિયાન ચૂંટણી પ્રચાર વાહનનો રેલિંગ તૂટતાં તેઓ હેઠાં પડ્યા હતા. જેમાં તેમનો આબાદ બચાવ થયો હતો. 

આબાદ બચાવ થયો, સામાન્ય ઈજાઓ થઈ 

અહેવાલ અનુસાર કેટીઆરને આ દુર્ઘટનામાં સામાન્ય ઈજાઓ થઈ હતી. ડ્રાયવરે અચાનક બ્રેક મારી દેતાં ગાડી પર સવાર મોટાભાગના લોકોને જોરદાર ઝટકો લાગ્યો હતો જેના લીધે રેલિંગ તૂટી ગઈ અને મંત્રી સાથે ઊેભેલા લોકો પણ એક પર એક પડી ગયા હતા. સુરક્ષાકર્મીઓ તાત્કાલિક બચાવ માટે આવી ગયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે કેટીઆર અન્ય લોકો સામે આર્મૂરથી બીઆરએસ ઉમેદવાર જીવન રેડ્ડીના નોમિનેશન ફાઈલ કરવા માટે રિટર્નિંગ ઓફિસરના કાર્યાલયની નજીક એક રેલીમાં જઈ રહ્યા હતા.