રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમાં કોઈ મતભેદ નથી કે અજિત પવાર અમારા નેતા છે. એનસીપી પ્રમુખે પાર્ટીમાં વિભાજન થયાની વાતને નકારી કાઢી છે. જોકે હવે શરદ પવારના આ નિવેદનથી કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના મુંઝવણમાં મૂકાઈ શકે છે.
શરદ પવારે કહ્યું કે એનસીપીમાં કોઈ વિભાજન થયું નથી. કોઈ પાર્ટીમાં ભાગલા કેવી રીતે પડે? આવું ત્યારે થાય છે જ્યારે રાષ્ટ્રીય સ્તરે કોઈ મોટો જૂથ પાર્ટીથી છૂટો પડી જાય છે પણ આજે એનસીપીમાં એવી કોઇ સ્થિતિ જ નથી.
બારામતીમાં એનસીપી પ્રમુખે કહ્યું કે પાર્ટીના અમુક નેતાઓએ અલગ વલણ અપનાવ્યું છે પણ તેને વિભાજન ન કહી શકાય. તે લોકતંત્રમાં આવું કરી શકે છે.
અગાઉ શરદ પવારની દીકરી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ પણ વિભાજન થવાથી ઈનકાર કર્યો હતો.સુલેએ કહ્યું હતું કે શરદ પવાર રાષ્ટ્રીય અધ્યક્ષ અને જયંત પટેલ મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ છે. સુલે અનેકવાર કહી ચૂક્યા છે કે એક પરિવાર તરીકે તેમની અને અજિત પવાર વચ્ચે કોઈ તકરાર નથી. તેમની વિચારધારા પણ એક જ છે.