ગુજરાત હાઈકોર્ટ સામે રોષ ઠાલવતાં સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે કોઈપણ કોર્ટ દ્વારા સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરુદ્ધ આદેશ પસાર કરવો એ બંધારણની વિચારધારા વિરુદ્ધ છે. સુપ્રીમકોર્ટે એક દુષ્કર્મ પીડિતાની ગર્ભપાતની માગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે આ કડક ટિપ્પણી કરી હતી. દુષ્કર્મ પીડિતાએ તેના ગર્ભને દૂર કરવાની મંજૂરી માગતી અરજી કરી હતી. સુપ્રીમકોર્ટે આ મામલે આજે સુનાવણી માટે લિસ્ટેડ કર્યો હોવા છતાં ગુજરાત હાઈકોર્ટે આ મામલે આદેશ પસાર કરતાં સુપ્રીમકોર્ટ વિફરી હતી. 

સુપ્રીમકોર્ટના જસ્ટિસ બી.વી.નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાંની બેન્ચે રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટમાં શું ચાલી રહ્યું છે? ભારતમાં એવી કોઈ કોર્ટ નથી જે સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરુદ્ધ આદેશ પસાર કરી શકે. આ બંધારણની વિચારધારા વિરુદ્ધ છે.  

ગુજરાત સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા. તેમણે આ મામલે દલીલ કરી કે હાઈકોર્ટ દ્વારા આદેશ ફક્ત ક્લેરિકલ ભૂલને દૂર કરવા માટે અપાયો હતો. આ મામલે ગેરસમજ પેદા થઈ છે. તેમણે કહ્યું કે અમે સરકાર વતી જજને અપીલ કરીશું કે તેઓ તેમનો આદેશ પાછો ખેંચે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *