ભારે વરસાદના કારણે યમદૂત બનીને તૂટી પડેલી દિવાલથી મહિલા પ્રોફેસર, ગૃહિણી અને યુવાને અંતિમ શ્વાસ લીધા.
જૂનાગઢમાં શનિવારે સાંબેલા ધારે પડેલાવરસાદના કારણે શહેર જળમગ્ન બન્યું હતું. ખાસ કરીને ગિરનારના જંગલમાં પડેલા અનરાધાર વરસાદના કારણે શહેર પાણી પાણી થઇ ગયું હતું. શહેરના તમામ માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. ભારે વરસાદના કારણે અનેક ખાના ખરાબી થઇ છે. સાથે 2 મહિલા સહિત ત્રણનો ભોગ પણ લેવાયો છે. ગિરનારમાં પડેલા વરસાદના કારણે ભરડાવાવ પાસે ઘોડાપુર આવ્યું હતું. પુરનું પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. દરમિયાન ભરડાવાવ પાસે દિવાલ તૂટી પડતા 5 વાહનો ધસમસતા પાણીમાં તણાયા હતા.
આમાં મહિલા પ્રોફેસર,એક ગૃહિણી અને યુવાન મોતને ભેટ્યા હતા. દિવાલ તૂટી પડવાથી આવેલા પાણીના ધસમસતા પ્રવાહમાં એક કાર, આઇસર અને ત્રણ રિક્ષા સહિતના વાહનો તણાયા હતા. સાથે બે મહિલા સહિતના 5 થી 6 લોકો તણાયા હતા. જેમાંથી મહિલા અધ્યાપક અને ગૃહિણીનું મૃત્યું નિપજ્યું હતું. ભરડાવાવની દુર્ઘટનાની માફક કૃષિ યુનિવર્સિટીની દિવાલ તૂટી જતા તેની નીચે દબાય જતા યુવાનનું ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું હતું.
2 વ્યક્તિને બચાવનાર પિતા પોતાની લાડકવાયી દીકરીને બચાવી ન શક્યા
{ દિપચંદાબેન ભરતભાઇ રાઠોડ ડો. સુભાષ યુનિવર્સિટીમાં લેકચરર હતા. તેમના પતિ ભરતભાઇ રાઠોડ માણાવદરના ખાંભલામાં એગ્રી યુનિવર્સિટીમાં સર્વિસ કરે છે. દિપચંદાબેન સર્વિસના કારણે જૂનાગઢ-આંબેડકરમાં પિતાના સાથે રહેતા હતા અને શનિરવિમાં ખાંભલા જતા હતા અથવા તેમના પતિ અહિંયા આવતા હતા. કોલેજ પુરી કરી દિપચંદાબેન પોતાના પિતા સાથે કારમાં જતા હતા. ભરડાવાવ પાસે દિવાલ પડતા 3 રિક્ષા, બાઇક, ટેમ્પો તણાયા. દિપચંદાબેનના પિતાએ અગાઉ રેસ્કયુની કામગીરી કરી હતી.
બધા માનવ સાંકળ બનાવીને પસાર થઇ રહ્યા હતા ત્યાં હાથ છૂટી ગયો અને બધા ફંગોળાઇ ગયા. દિપચંદાબેન થાંભલો પકડ્યો હતો પરંતુ આઇસર પાણીમાં ફંગોળાઇને આવ્યું અનેતેના નીચે તેઓ દબાઇ ગયા. આઇશર નીચેથી જ તેમની લાશ મળી આવી હતી. દિપચંદાબેનના ફાધર ચંદુભાઇ ધાધલે અન્ય 2 વ્યક્તિને રેસ્ક્યુ કરીને બચાવી લીધા પરંતુ અફસોસ પોતાની દિકરીને બચાવી ન શક્યા. > સાથી પ્રોફેસર.
30 કલાક બાદ 12 કિમી દૂરથી આરતીબેનની લાશ મળી
{ આરતીબેનની દિકરી હોસ્પિટલે સારવારમાં હતા. તેમની ખબર કાઢવા આરતીબેન પોતાના પતિ હરસુખભાઇ ડાભી અને પૌત્ર સાથે બાઇક પર ગયા હતા અને હોસ્પિટલથી પરત આવતા હતા. દરમિયાન ભરડાવાવ પાસે દિવાલ તૂટતા પાણીનો પ્રચંડ પ્રવાહ આવ્યો તેમાં ત્રણેય તણાયા હતા. સદનસીબે હરસુખભાઇ અને તેના પૌત્ર બચી ગયા હતા. પરંતુ કમનસીબે આરતીબેન(ઉ.વ.50) તણાઇ જવા પામ્યા હતા. દરમિયાન 30 કલાક બાદ 12 કિમી દૂર ખલીલપુર રોડ પરથી તેમની લાશ એનડીઆરએફની ટીમે શોધી કાઢી હતી. > રમેશભાઈ બાવળીયા, ગિરનાર ડોલી એસોસિએશનના પ્રમુખ.
પાણી કાઢવાની કામગીરી દરમિયાન દિવાલ માથે પડી
{ શનિવારે પડેલા ભારે વરસાદના કારણે કૃષિ યુનિવર્સિટીમાં પાણી ભરાઇ ગયું હતું. ત્યારે સુરેશ ખીમજીભાઇ વાડોદરીયા નામના 45 વર્ષિય યુવાન પાણી નિકાલની કામગીરી કરી રહ્યો હતો. ત્યારે કૃષિની દિવાલ તૂટી પડતા સુરેશભાઇ દબાઇ ગયા હતા. બાદમાં પોલીસની ગાડીમાં બેસાડી સુરેશભાઇને અક્ષરમંદિર પાસેના ગેઇટથી તેને સિવીલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે તેમનું સિવીલમાં જ મૃત્યુ થયું હતું. આ મામલે સી ડિવીઝન પોલીસે એકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.> હિતેષ ધાંધલ્યા, ડીવાયએસપી.
![](https://images.bhaskarassets.com/web2images/960/2023/07/24/orig_mot_1690140947.jpg)