બિપોરજોય વાવાઝોડાને લઈ ફરી મોટા અહેવાલ સામે આવ્યા છે. આ વાવાઝોડું ગુરુવારે રાત્રે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ નજીક ત્રાટક્યું હતું. દરિયાકાંઠે ટકરાયા બાદથી વાવાઝોડું સતત નબળું પડી રહ્યું છે. જોકે ત્યારબાદથી જખૌ અને માંડવી સહિત કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવે આ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં પવનની ગતિ 75 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની નજીક હોવાની માહિતી અપાઈ હતી. 

ગુજરાત બાદ હવે આ રાજ્યોનું ટેન્શન વધ્યું 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાને કારણે આજે અને આવતીકાલે ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડશે. આગામી ચાર દિવસ સુધી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ ચાલુ રહેશે. તોફાનના કારણે આગામી 4 દિવસ સુધી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે.

મોટી સંખ્યામાં વૃક્ષો અને વીજથાંભલા ધરાશાયી, અનેક ગામડા વીજવિહોણાં થયા 

કચ્છ જિલ્લાના જખૌ અને માંડવ પાસે કેટલાય વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા ગુજરાત પોલીસ, નેશનલ ડિઝાસ્ટર ફોર્સ અને આર્મીની ટીમો દ્વારકાના વિવિધ ભાગોમાં રાહત અને બચાવ તથા સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે.  જ્યારે સેનાએ ભુજ, જામનગર, ગાંધીધામ તેમજ નલિયા, દ્વારકા અને માંડવીમાં આગળના સ્થળોએ 27 રાહત સ્તંભો તૈનાત કર્યા છે.

ગુજરાતમાં 18 જૂન સુધી 99 ટ્રેનો રદ 

બિપોરજોય વાવાઝોડાની અસર ટ્રેન સેવાઓ પર પણ જોવા મળી છે. 18 જૂન સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં 99 ટ્રેનો રદ કરવામાં આવી હતી.