થોડા દિવસ પહેલા ઈજિપ્તમાં 23 વર્ષના એક યુવકનુ શાર્ક માછલીના હુમલામાં મોત નીપજ્યુ હતુ.

આ ઘટના બાદ લોકોએ આ શાર્કને મોતને ઘાટ ઉતારી દીધી છે અને તેની ચીર ફાડ કરીને તેના શરીરમાંથી યુવકના શરીરનો કેટલોક હિસ્સો બહાર કાઢ્યો છે. હવે શાર્કના મૃતદેહને મ્યુઝિમમમાં મમી તરીકે રાખવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે.

23 વર્ષીય યુવાન વ્લાદિમિર પોપોવ દરિયામાં તરી રહ્યો હતો ત્યારે શાર્કે તેના પર હુમલો કરી દીધો હતો અને તેને પાણીમાં ખેંચી જવા માંડી હતી. તે વખતે યુવાને પોતાના પિતાને સંબોધીને બૂમો પણ પાડી હતી કે, પાપા મને બચાવી લો…આ દર્દનાક ઘટનાનો એક વિડિયો પણ વાયરલ થયો હતો.

આ બનાવથી ખળભળાટ મચ્યો હતો. કારણકે જે જગ્યાએ આ યુવાન તરી રહ્યો હતો તે બીચ સુરક્ષિત માનવામાં આવે છે અને અહીંયા સેંકડો બોટો ગમે તે સમયે લાંગરેલી રહેતી હોય છે.

હવે આ શાર્કને જ્યારે લોકોએ મારી નાંખી છે ત્યારે તેના મૃતદેહ પર ઈન્સ્ટિટ્યુટ ઓફ મરિન સાયન્સ દ્વારા શાર્કના મૃતદેહ પર કેમિકલનો લેપ લગાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેથી તેના મૃતદેહને મ્યુઝિમમાં રાખી શકાય.