આઝાદીનો અમૃત મહોત્સવ- પ્રધાનમંત્રી શ્રી નરેંદ્રભાઇ મોદી સાબરમતી આશ્રમથી કરાવશે શુભારંભ

  • સાબરમતી આશ્રમના મુખ્ય કાર્યક્રમની સાથે મહત્વના અન્ય ૬ જિલ્લામાં સહિત ૭૫ સ્થળોએ થશે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી
  • દેશની આઝાદી સાથે ચિરસ્મરણિય સ્થળો એવા રાજકોટ, માંડવી(કચ્છ), પોરબંદર, વડોદરા, બારડોલી(સુરત) અને દાંડી(નવસારી) ખાતે યોજાશે દેશભક્તિના કાર્યક્રમો

• ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ અને અઝાદીની લડતનું કેંદ્રબિંદુ રહેલા અમદાવાદથી પ્રધાનમંત્રીશ્રી નરેંદ્રભાઇ મોદી આઝાદી કા અમૃત મહોત્સવનો શુભારંભ કરાવશે

• જ્યાં ગાંધીજીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું-જ્યાંથી આઝાદ જુનાગઢ ફોજની ભરતી શરુ થઇ એવા રાજકોટ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં અમૃત મહોત્સવ ઉજવાશે

• રાષ્ટ્રીય ચેતનાના પ્રેરક મહર્ષિ અરવિંદ ઘોષની કર્મભૂમિ વડોદરાના નવલખી મેદાનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષપદે ઉજવણી થશે

• સરદાર વલ્લભભાઈએ જ્યાંથી સત્યાગ્રહ કરી અંગ્રેજોને ઝુકાવ્યા એવી બારડોલી ભૂમિ ખાતે શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં અમૃત મહોત્સવ ઉજવાશે

• ગાંધી બાપુના જન્મસ્થળ તિર્થભૂમિ પોરબંદર ખાતે મંત્રી શ્રી આર. સી. ફળદુની ઉપસ્થિતિમાં અમૃત મહોત્સવ ઉજવાશે-દાંડી યાત્રાની વ્યવસ્થાપક ટુકડીમાં પોરબંદરના સ્વાતંત્ર્ય સેનાની નગીનદાસ મોદી જોડાયા હતા

• જ્યાં ગાંધી બાપુએ મિઠાનો કાયદો અને અંગ્રેજોના અહંમને તોડ્યો હતો એવા નવસારીના દાંડી ખાતે રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે

• કચ્છના ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના જન્મસ્થળ માંડવી ખાતે રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતિમાં ઉજવણી થશે

ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ ૧રમી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કરાવશે. જેના અનુલક્ષમાં સાબરમતી આશ્રમના મુખ્ય કાર્યક્રમની સાથે મહત્વના ૬ જિલ્લા સહિત વિવિધ ૭૫ સ્થળોએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ અને અઝાદીની લડતનું કેંદ્રબિંદુ રહેલા અમદાવાદથી પ્રધાનમંત્રીશ્રી નરેંદ્રભાઇ મોદી આઝાદીના અમૃત મહોત્સવનો શુભારંભ કરાવશે.

આ પ્રસંગે સાબરમતી આશ્રમ ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, વિધાનસભા વિપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી, ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલ, સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ, સાબરમતી આશ્રમના ટ્રસ્ટી શ્રી કાર્તિકેય સારાભાઈ, શ્રી અમૃત મોદી અને ડૉ. સુદર્શન આયંગર ઉપસ્થિત રહેવાના છે.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની શરૂઆત ઐતિહાસિક દાંડી યાત્રાની સ્મૃતિમાં સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી ૩૮૬ કી.મી ની પદયાત્રાથી વડાપ્રધાનશ્રી કરાવવાના છે. આ દાંડીયાત્રાના માર્ગમાં આવતા અને દેશની આઝાદી ચળવળમાં મહત્વના ચિરસ્મરણિય સ્થળો રાજકોટ, માંડવી(કચ્છ), પોરબંદર, વડોદરા, બારડોલી(સુરત) અને દાંડી(નવસારી) ખાતે દેશભક્તિના કાર્યક્રમો યોજાશે. ઉપરાંત સંસ્કૃતિક-રંગારંગ કાર્યક્રમ, સાઇકલ-બાઇક રેલી, પદયાત્રાઓ, વૃક્ષારોપણ અને ક્રાફ્ટ બજાર સહિતના રચનાત્મક કાર્યક્રમો પણ યોજાશે.

રાજકોટ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને શ્રી પંકજભાઈ ભટ્ટ આઝાદીના અમૃત મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. રાજકોટમાં ગાંધીજીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. જુનાગઢને નવાબના શાસનમાંથી આઝાદ કરાવવા સ્થપાયેલી આરઝી હુકૂમતે રાજકોટથી જ આઝાદ જુનાગઢ ફૌજની ભરતી શરુ કરી હતી. રાજકોટનું આજનું સર્કિટ હાઉસ તત્કાલીન આરઝી હુકૂમતની વડી કચેરી બની હતી. રાજકોટની રાષ્ટ્રીય શાળામાં ગાંધીજીનું રોકાણ તથા ઢેબરભાઇ, રસિકભાઇ પરીખ અને મનુભાઇ પંચોળી જેવા સેનાનીઓઓ સંઘર્ષ આજે પણ રાજકોટવાસીઓ ભુલ્યા નથી. કસ્તુરબા ગાંધીના જીવનની સ્મૃતિઓ પણ રાજકોટ સાથે જોડાયેલી છે.

વડોદરા રાષ્ટ્રીય ચેતનાના પ્રેરક અને તત્વચિંતક એવા મહર્ષિ અરવિંદ ઘોષની કર્મભૂમિ રહી છે. મહર્ષિ અરવિંદે છુપી રીતે ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય આંદોલનને પ્રેરણા આપી હતી જેના પરિણામે વડોદરા રાજ્યમાં સ્વતંત્રતા માટેની પ્રવૃત્તિઓને મોકળાશ મળી હતી. વડોદરાના નવલખી મેદાનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષપદે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થશે.

સુરતના બારડોલી ખાતે સરદાર વલ્લભભાઈએ ખેડૂતો પર મહેસુલના વિરોધમાં સત્યાગ્રહ કરી અંગ્રેજોને ઝુકાવ્યા હતા. આ સત્યાગ્રહથી વલ્લભભાઇ પટેલ ‘સરદાર’થી ઓળખાયા હતા. બારડોલી સત્યાગ્રહના પરિણામે સમગ્ર દેશને સરદાર સાહેબની કુનેહભરી દૃષ્ટ્રીનો પરિચય થયો. બરડોલીની ચિરસ્મરણિય ભૂમિ ખાતે શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાશે.

પોરબંદર એટલે કે ગાંધી બાપુનું જન્મસ્થળ પણ દાંડી યાત્રાની સ્મૃતિ સાથે જોડાયેલું છે. દાંડી યાત્રાની વ્યવસ્થાપક ટુકડીમાં પોરબંદરના સ્વાતંત્ર્ય સેનાની નગીનદાસ મોદી જોડાયા હતા. આ ટૂકડી પદયાત્રીઓને રાત્રી રોકાણ, ભોજન, નાસ્તો વગેરે વ્યવસ્થાઓ પુરી પાડવા આગળ ચાલતી હતી. તિર્થભૂમિ પોરબંદરના કિર્તીમંદીર ખાતે મંત્રી શ્રી આર. સી. ફળદુની ઉપસ્થિતિમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે કીર્તિ મંદિરથી ચોપાટી સુધી જુદા જુદા રૂટ પર પદયાત્રા અને સાયકલ યાત્રાનું પણ આયોજન કરાયું છે.

નવસારીના દાંડી ખાતે ગાંધી બાપુએ મિઠાનો કાયદો અને અંગ્રેજોના અહંમને તોડ્યો હતો. જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય અવજ્ઞા આંદોલન શરૂ થયા હતા. નવસારીની ઐતિહાસીક ભૂમિ પર દાંડી પ્રાર્થના મંદિર ખાતે સહકાર, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વાહનવ્યવહાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને આઝાદીના અમૃત મહોત્સવનો કાર્યક્રમ યોજાશે.

ગાંધીજીએ દાંડી દરિયાકિનારે ચપટી મિઠું ઉપાડી કહ્યું હતું: ‘હું બ્રિટિશ સામ્રાજ્યરૂપિ ઈમારતના પાયામાં લૂણો લગાડું છું.’ ગાંધીજીના આ મિઠાના સત્યાગ્રહથી અંગ્રેજી શાસનને મોટો ધક્કો લાગ્યો હતો.

કચ્છના ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના જન્મસ્થળ માંડવી ખાતે રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતિમાં ઉજવણી થશે. શ્યામજી કૃષ્ણ વર્માએ જાહેર કરેલી શિષ્યવૃત્તિથી વિનાયક દામોદર સાવરકર, મદનલાલ ધિંગરા, લાલા હરદયાળ, પી. એન. બાપટ વગેરે ભારતીય ક્રાંતિકારી ચળવળના તેજસ્વી નેતાઓને વિદેશમાં મદદ મળી હતી. તેઓએ દાદા ભાઈ નવરોજી અને સરદારસિંહ રાણાની સહાયથી લંડન ખાતે ‘ધ ઈન્ડિયન હોમરુલ સોસાયટી’ની સ્થાપના કરી હતી.

આ ૬ જિલ્લા સ્થળો સહિત રાજ્યના કુલ ૭૫ સ્થળોએ આવતીકાલે આઝાદીના અમૃત મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થનાર છે. સ્થાનિક જિલ્લા અને તાલુકા પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તમામ જગ્યાએ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.