રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગંભીર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે અકસ્માતની વધુ બે ઘટના બની છે. જેમાં કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. પહેલી ઘટનામાં દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં 6 લોકોના મોત થયા છે જ્યારે બીજી ઘટના સુરેન્દ્રનગર લખતર હાઇવે પર બની હતી જેમાં ત્રણ લોકોના મોત થયા છે. 

 દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર ઘટના બની 

આજે ગુજરાતમાં બે ગંભીર અકસ્માતની ઘટનામાં 9 લોકોના મોત થયા છે જેમા પહેલી ઘટના દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર પાટીયાઝોલ તળાવ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો જેમા ઘટનાસ્થળે જ 6 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. આ ઉપરાંત એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાથી તાત્કાલિક ધોરણે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના લખતરના ઝામર ગામ નજીક અકસ્માત

આજે અન્ય એક બનાવમાં સુરેન્દ્રનગરના લખતરના ઝામર ગામ નજીક ટ્રક અને સેન્ટ્રો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા છે. આ અકસ્માત પલાસા ખાતે માતાજીની બાધા પુરી કરવા જતાં સમયે થયો હતો. ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા જ લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે સેન્ટ્રો કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા.