શિવા સોલંકીના પુત્રના આપઘાતનું રહસ્ય ઘેરાયું

કોડીનાર પાલિકાના પૂર્વ પ્રમુખ શિવા સોલંકીના પુત્રના આપઘાતનું રહસ્ય ઘેરાયું છે. મીત સોલંકીના આપઘાત અંગે કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. ગઈકાલે મીત સોલંકીની લાશનું  પીએમ જામનગરથી આવેલા ડોકટરોની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું. પીએમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકીના આશાસ્પદ યુવાન પુત્રએ કોઈ અકળ કારણોસર રિવોલ્વરથી આત્મહત્યા કરતા ચકચાર જાગી છે. કોડીનારના રાજમોતી પરિવારના આશાસ્પદ યુવાન મીતરાજસિંહ સોલંકીએ કોઈ અકળ કારણોસર રિવોલ્વર વડે લમણે ફાયરિંગ કરી સ્યુસાઈડ કરતાં તાલુકાભરમાં શોકનું મોજું ફેલાયું છે. જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના ભત્રીજા અને કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકીના ૨૨ વર્ષિય આશાસ્પદ યુવાન પુત્ર મીત સોલંકીએ તેમના નિવાસે જમણે લમણે રિવોલ્વરથી ફાયરિંગ કરી સ્યુસાઈડ કરતાં ચકચાર મચી છે. આ ઘટનાની વિગત મુજબ કોડીનારના રાજકીય પરિવાર ગણાતા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના ભત્રીજા શિવા સોલંકીના યુવાન આશાસ્પદ પુત્ર મીતરાજસિંહ સોલંકી (ઉ.વ.૨૨)એ દેવળી સ્થિત તેમના માનઘર નિવાસસ્થાને બપોરે ૧થી ૨ની વચ્ચે તેના મિત્રની રિવોલ્વર વડે જમણે લમણે રિવોલ્વર વડે ફાયરિંગ કરી કોઈ અકળ કારણોસર સ્યુસાઈડ કરતાં આ અંગે તેમના પરિવારજનોને જાણ થતાં તેને પ્રથમ અંબુજા હોસ્પિટલમાં લઈ જતાં ત્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરતાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કોડીનાર સરકારી દવાખાને ખસેડાતા ત્યાં કોડીનારના રાજકીય આગેવાન સહિતના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. મગજના ભાગમાં ગોળી વાગેલી હોય ફાયર કે મિસફાયર જેવી ચોકકસ વિગત જાણવા માટે જામનગરના તબીબોને પીએમ માટે બોલાવવામાં આવ્યા હતાં. બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહીછે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિનુ સોલંકીનો ભત્રીજો અને શિવા સોલંકીના પિતરાઈ ભાઈનું પણ તાજેતરમાં એક મહિના પૂર્વે જ મૃત્યુ થયું હતું. કાદુભાઈસોલંકીને કોરોના થયો હતો તયારે તેમાંથી રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ફરીથી તબિયત લથડતા એક માસ પહેલાં જ નિધન થયું હતું. સોલંકી પરિવારમાં ટૂંક સમયમાં બે-બે વ્યક્તિના મોતથી ક‚ણ આક્રંદ છવાયો છે.

એક માત્ર સંતાન ગુમાવતા ગમગીની : કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકીના આશાસ્પદ યુવાન પુત્ર ગુમાવતા અરેરાટી વ્યાપી છે. શિવાભાઈ સોલંકીને સંતાનમાં એકમાત્ર પુત્ર મીત હતો તેના આપઘાતથી માતા-પિતા પર દુ:ખનું આભ ફાટયું છે.

વિદેશથી અભ્યાસ કરીને મીત સોલંકી પરત આવ્યો હતો : આપઘાત કરી લેનાર મીત સોલંકી અભ્યાસમાં તેજસ્વી હતો. તાજેતરમાં જ વિદેશથી અભ્યાસ કરીને માદરેવતન પરિવારજનો પાસે પરત ફર્યો હતો. લોકડાઉનથી તે ઘરે જ હતો. બિઝનેસ માટે વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અચાનક આ પગલું ભરી લેતાં લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.