૧૨ માર્ચના રોજ યોજાશે આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ, ગાંધીજન્મભૂમિમાં અનેરો ઉત્સાહ

મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં આવતીકાલે તા.૧૨ માર્ચના રોજ યોજાશે આઝાદી કા અમૃત મહોત્સવકાર્યક્રમ

કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી  આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને વિવિધ કાર્યક્રમનું આયોજન

કીર્તિમંદિર ખાતે પુષ્પાંજલી, પદયાત્રા અને સાયકલ રેલી, ચોપાટી ખાતે સફાઇ અભિયાન, વૃક્ષારોપણ, ઓર્ગેનિક ફુડ બજારનું ઉદ્ધાટન અને સ્ટેજ પ્રોગ્રામ

સહિતના કાર્યક્રમોની તૈયારી પૂર્ણ: ગાંધીજન્મભૂમિમાં અનેરો ઉત્સાહ

પોરબંદર તા.૧૧, પોરબંદરમાં  આવતીકાલે તા.૧૨ માર્ચના રોજ સવારે ૦૮.૩૦ કલાકેથી કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને  આઝાદીનો અમૃત મહોત્સવ’ કાર્યક્રમ દેશની આઝાદી ના ૭૫ વર્ષના ઉપલક્ષમા યોજાશે. આ પ્રસંગે કીર્તિ મંદિરથી ચોપાટી સુધી જુદા જુદા રૂટ પર પદયાત્રા અને સાયકલ યાત્રાનું પણ આયોજન કરાયું છે.

કીર્તિમંદિર ખાતે મંત્રીશ્રી આર.સી.ફળદુ તથા મહાનુભાવો સવારે ૦૮.૩૦ કલાકે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને કસ્તુબાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને કીર્તિમંદિરથી ચોપાટી સુધી યોજાનાર પદયાત્રા અને સાયકલ યાત્રાનો શુભારંભ કરાવશે. આ યાત્રા શહેરના અલગ અલગ રૂટ પરથી નિકળી ચોપાટી ખાતે પહોચશે, જેમાં પદયાત્રા કીર્તિ મંદિરથી માણેકચોક થઇ ચોપાટી ગ્રાઉન્ડ તથા સાયકલ રેલી કીર્તિ મંદિરથી શિતલાચોક, રેલ્વે સ્ટેશન થઇ ચોપાટી પહોચશે. સવારે ૯ કલાકે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગાંધી સ્મૃતિ ભવન પાછળ ચોપાટી ખાતે મંત્રીશ્રી તેમજ  તથા મહાનુભાવો સફાઇ અભિયાનમા જોડાશે. તથા સરકીટ હાઉસ પાછળ ચોપાટી પાસે સવારે ૯:૩૦ કલાકે વૃક્ષારોપણ કરશે. સવારે ૧૦ કલાકથી ચોપાટી ગ્રાઉન્ડ, હોટલ તોરણની બાજુમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં મહાત્મા ગાંધીને પ્રિય ભજન અને ધુન સાથે કાર્યક્રમનો પ્રારંભ થશે. મંત્રીશ્રી ફળદુ તથા ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયા વકતવ્ય આપશે તથા વડાપ્રધાનશ્રીના વકતવ્યનું જીવંત પ્રસારણ કરાશે. તથા સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન પણ કરવામાં આવ્યુ છે. ત્યારબાદ ગ્રામહાટ ખાતે મંત્રીશ્રી ઓર્ગેનિક ફુડ બજારનું ઉદ્ઘાટન કરશે.

આ પ્રસંગે વિદ્યાર્થીઓ તથા સ્થાનિક કલાકારો દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. કાર્યક્રમમાં પોરબંદર કલેકટરશ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે.અડવાણી સહિત અધિકારીઓ પદાધિકારીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધીઓ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેશે.

પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મસ્થળ હોય આવતીકાલના કાર્યક્રમને લઈને ગાંધીજન્મભૂમિ પોરબંદર જિલ્લાના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.