કમલાબાગથી નરસંગ ટેકરી તરફ જતા માર્ગનું કામ શરૂ : લોકોમાં આનંદની લાગણી

પોરબંદર થી નરસંગ ટેકરી તરફ જતાં માર્ગ પર છેલ્લા બે મહિનાથી કામ બંધ હતું. એક બાજુનો રસ્તો બે ફૂટ જેટલો ખોદી નાખવામાં આવ્યો હતો. જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકોમાં રાત્રિના સમય દરમિયાન તો અકસ્માતનો ભય સેવાઇ રહ્યો હતો. અને ધૂળની ડમરીઓ ઉડી હતી. જેથી આંખ અને ગળામાં બળતરા થવી સહિતના રોગોનો ભોગ નગરજનોને બનવું પડી રહ્યું હતું. ખાસ કરીને આ માર્ગ પરથી રાજકોટ તરફ અવરજવર કરતાં હજારોની સંખ્યામાં વાહનચાલકો પસાર થતા હતા ત્યારે છેલ્લા ઘણા લાંબા સમયથી બંધ પડેલ કામ શરૂ કરવામાં આવ્યું છે. હાલ કામ શરૂ થયું હોવાના કારણે નગરજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. રોડ રસ્તાનું કામ પૂરું થયા બાદ નગરજનોને સારા માર્ગની સુવિધા ઉપલબ્ધ થશે.

છેલ્લા ઘણા લાંબા સમયથી બિસ્માર બનેલ રસ્તાઓ પર વાહન ચાલકોની પસાર થવામાં દયનીય સ્થિતિ બની ગઈ હતી. અને બે ફૂટ જેટલું ખોદકામ કર્યું હોવાના કારણે નગરજનોમાં પણ રોષ ભભૂકી ઉઠયો હતો. બિસ્માર બનેલ રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. અને આ રસ્તા પર પસાર થવામાં ભારે હાડમારીનો સામનો લોકો કરી રહ્યા હતા. ખાસ કરીને અધૂરું કામ છોડી દેવાયું હોવાના કારણે આ રસ્તા પરથી પસાર થતાં હજારોની સંખ્યામાં વાહનચાલકો એક બાજુના માર્ગ પરથી પસાર થવું પડી રહ્યું હતું. જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય રહ્યા હતા. પરંતુ હાલ કમલાબાગથી નરસંગ ટેકરી તરફ જતા માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું હોવાના કારણે નગરજનોને સારાવરસ્તાની સુવિધા મળી રહેશે જેથી લોકોમાં પણ આનંદની લાગણી પ્રસરી હતી.