કસ્તુરબા ધામમાંથી ગાંધીજીનાં ચશ્મા ચોરી ગયું કોણ?

  • – પોલીસ ઈન્કવાયરી પછી પણ પતો ન લાગ્યો…
  • – કસ્તુરબાને નજર કેદથી રાખવામાં આવ્યા હતા તે સ્થળેથી ગાંધીજીની દુર્લભ તસ્વીરો પણ પરદેશમાં પગ કરી ગઈ હોવાની શંકા

રાજકોટ નજીક ત્રંબામાં આવેલો કસ્તુરબા ધામ આશ્રમ જયાં ૧૯૩૯માં ૧૯ દિવસ સુધી સત્યાગ્રહની લડત દરમિયાન કસ્તુરબાને નજર કેદ રાખવામાં આવ્યા હતાં. આઝાદી પછી આ સ્થળને સ્મારક તરીકે વિકસાવવા માટે ગાંધી પરિવારના ટ્રસ્ટીઓને સોંપવામાં આવ્યું. એ સમય અહી ગાંધીજના ચશ્મા હતાં. આઝાદીની લડતમાં સામેલ સંસ્મરણોની ગાંધીજીની દુર્લભ તસવીરો હતી. ગાંધીજીનાં પ્રિય પુસ્તકો હતાં. પરંતુ આજે એક પણ ચીજ અહીં આશ્રમમાં જોવા મળતી નથી. કાંઈ કહે છે કે આશ્રમમાંથી આ ચીજો ચોરાઈ ગઈ છ કોઈ કહે છે કે પરદેશ સુધી પગ કરી ગઈ છે. આ ફરિયાદો બાદ પોલીસ ઈન્કવાયરી પણ નિમવામાં આવી છે. છતાં ગાંધીજીના સ્મૃતિચિંહન સ્વરૂપ ચીજવસ્તુઓનો કોઈ પતો લાગ્યો નથી.

રાષ્ટ્રપિતા મહાત્માગાંધીજીનાં જીવનના અનેક સંસ્મરણો રાજકોટ સાથે જોડાયેલા છે. અહીની કિશોરસિંહજી હાઈસ્કુલમાં પ્રાથમિક શિક્ષણ, આલ્ફ્રેડ હાઈસ્કુલમાં માધ્યમિક શિક્ષણ અહીના કબા ગાંધીના ડેલમાં અઢી ત્રણ દાયકા સુધીનો નિવાસ અને સત્યાગ્રહના સેનાનીઓ માટે શરૂ કરેલી રાષ્ટ્રીય શાળા એ ગાંધીજીના દુર્લભ સ્મારક સમાન છે. પરંતુ રાજકોટથી આઠ કિ.મી. દૂર આવેલા ત્રંબા  ગામમાં આજે કસ્તુરબાધામ આશ્રમ જે જર્જરીત અવસ્થામાં જોવા મળે છે તેને કોઈ યાદ કરતુ નથી. આઝાદીની લડત દરમિયાન રાજકોટ સત્યાગ્રહ તરીકે ઓળખાતી ચળવળમાં ભાગ લેવા કસ્તુરબા રાજકોટ આવ્યા ત્યારે તેઓને અહી નજરકેદ રાખવામાં આવ્યા હતાં. સરદાર પટેલના પુત્રી મણીબેન પટેલ પણ એ સમયે તેમની સાથે રહ્યા હતાં.

કસ્તુરબા ધામ આશ્રમની સાથે જોડાયેલી ગાંધીજીની સ્મૃતિઓને યાદ કરી ૮૮ વર્ષના મુંબઈ સ્થિત વયોવૃધ્ધ ટ્રસ્ટી સુરેશભાઈ મહેતા જણાવે છે કે, આ આશ્રમમાં એક સમયે ગાંધીજીવન દરેક પ્રવૃતિમાં ધબકતુ હતું. કાંતણ વિભાગ, વણાટ વિભાગ, હાથકાગળ બનાવવાનું કારખાનું લુહારીકામ સુથારીકામ ધમધમતુ હતુ. ખેતીની વિશાળ જમીન અને આશ્રમશાળા એ તમામ પ્રવૃતિમાંથી અત્યારે માત્ર નિશાળ ચાલે છે. ગાંધીજીનાં ચશ્મા અહી હતા. તેઓ બંગાળી ભાષા જે પુસ્તકમાંથી શીખી રહ્યા હતાં તે પુસ્તકો હતાં. ગાંધીજીના પ્રપૌત્ર અને જાણીતા તસવીરકાર કનુભાઈ ગાંધીએ ગાંધીજીની જે દુર્લભ તસ્વીરો કચકડે કંડારી હતી તે પણ અહી હતી. પરંતુ સંસ્થા સાથે એક સમયે સંકળાયેલા પ્રવિણભાઈ આહ્યા અમેરિકા પ્રદર્શન માટે લઈ ગયા ત્યારબાદ તે ચીજો પાછી આવી નથી આ મુદ્દે અનેક ફરિયાદો થયા બાદ પોલીસ ઈન્કવાયરી પણ નિમવામાં આવી હતી. પરંતુ ગાંધીજીની યાદગીરી સમાન આ ચીજોનો પતો આજ સુધી લાગ્યો નથી. વર્ષો અગાઉ ગુમ થયેલી આ ચીજો હવે હાથ લાગે તેવી શક્યતા નથી. પુ. કસ્તુરબાને જયા નજર કેદ રાખવામાં આવ્યા હતા તે બંગલો પણ જર્જરીત થઈ ગયો છે તેની કોઈ કાળજી લેતુ નથી. જેમ ગાંધીવિચાર એ ભારતીય રાજકીય જીવનમાંથી નામશેષ થઈ ગયો છે તેવી જ સ્થિતિ રાજકોટ નજીકનાં ગાંધી કસ્તુરબાના સ્મૃતિ સ્મારકોની જોવા મળે છે જે કેવી કમનશીબી છે.