રાજકોટ- દિલ્હી વચ્ચેની વિમાની સેવા આજથી ચાર દિવસ સ્થગિત

આજથી ૨૪ જાન્યુઆરી સુધી દિલ્હીની એક પણ ફ્લાઇટ ઉડાન નહિ ભરે. રાજકોટ એરપોર્ટ ડાયરેકટર દિગંતા બોરહએ જણાવ્યું હતું કે, દિલ્લીમાં પ્રજાસતાક પર્વની ઉજવણીમાં એર શો માટેના પ્લેન દિલ્લી એરપોર્ટ પર પાર્કિંગ થવાથી કોમર્શિયલ ફલાઇટ રદ્દ કરવામાં આવે છે. જે માટે સ્પાઇસ જેટ દ્વારા ફલાઇટ રદની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટથી દિલ્હીના દરરોજ ૫૫ મુસાફરો દિલ્લીથી રાજકોટ અને રાજકોટથી દિલ્લી મુસાફરી કરે છે. દરરોજ સવારે ૯ વાગ્યે દિલ્લીથી રાજકોટ પહોંચી ૯.૪૫ વાગ્યે પરત દિલ્લી જવા ભરે છે ફ્લાઇટ ઉડાન. જે રદ્દ કરવામા આવતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટ બાદ હવે ઇન્ડિગો દ્વારા રાજકોટથી ફલાઇટ શરૂ કરવામાં આવશે. આગામી મેં મહિનાથી ઈન્ડિગોની ફ્લાઈટ રાજકોટથી શરૂ કરવાની રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ એરપોર્ટના ડાયરેકટર દિગંત બોરહએ માહિતી આપતા કહ્યું હતું કે, હાલ દિલ્હી અને મુંબઇ માટે સ્પાઇસ જેટ અને એર ઇન્ડિયાની ફ્લાઇટની સુવિધા છે. રનવે નાનો હોવાને કારણે બીજી ફ્લાઈટો આવી શકતી નહોતી પરંતુ હવે રનવે ને ૧૦૦ મીટર વધારવામાં આવ્યો હોવાથી ઈન્ડિગો કંપનીએ ફ્લાઇટ શરૂ કરવાની તૈયારીઓ દર્શાવી છે.

હાલ રાજકોટ એરપોર્ટનો રન વે ૧૮૪૩ મીટર લંબાઈનો કરવામાં આવ્યો છે. જેમાંથી ફ્લાઇટ લેન્ડિંગ અને ટેક ઓફ માટે ૧૭૪૩ મીટરનો ઉપયોગ કરી શકશે. આગામી દિવસમાં માત્ર દિલ્હી અને મુંબઈ જ નહીં પરંતુ બેંગ્લોર માટેની ફ્લાઇટ પણ રાજકોટથી મળે તેવી શકયતા સેવાઇ રહી છે. સાથે જ રાજકોટમાં ફ્લાઇટ વધવાથી ઉદ્યોગકારોને નવી કનેક્ટિવિટી મળશે અને હરીફાઈને કારણે ફ્લાઇટની ટિકિટના દર પણ ઘટશે. ઉલ્લેખનિય છે કે રાજકોટ એરપોર્ટ પર હાલ બે ફ્લાઇટ પાર્કિંગ થાય તેવી સુવિધા છે પરંતુ આગામી એપ્રિલ માસથી વધુ ૪ ફલાઇટ પાર્કિગ થાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે એટલે કે કુલ રાજકોટ એરપોર્ટ પર ૬ ફલાઇટ પાર્કિંગ થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.