લોકોના ઘરમાં ઘૂસી જવાની ફરિયાદ સાથે પોલીસ મથકે લાવ્યા હતા.ટપ્પર ગામના યુવકનો મૃતદેહ ન સ્વિકારી રેકી કરનાર સામે ગુનો દાખલ કરવા સ્વજનોની માગણીઃ પોલીસ મથકે પરિજનો સાથે પોલીસનો સંઘર્ષ.
ભુજ તાલુકાના માનકુવા પોલીસ સ્ટેશનની અંદર જ આપઘાતનો બનાવ બનતાં ચકચાર જાગી છે. મુળ મુન્દ્રાના ટપ્પર ગામના ૩૫ વર્ષીય યુવાનને કોલી સમાજના બે લોકો ઘરમાં ઘુસી જવાની ફરિયાદ સાથે પોલીસ મથકે લાવ્યા હતા. પોલીસ સ્ટેશને રજૂઆત અને તપાસની કાર્યવાહી આક્ષેપિત યુવક બાંકડા ઉપર બેઠો હતો. દરમ્યાન યુવકે પોલીસ મથકના બાથરૂમમાં જઈ પોતાના ટીશર્ટથી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાના પગલે બન્ને પક્ષના ટોળાં એકત્ર થયાં હતાં. સમાજ-પરિવારના લોકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયુ હતુ. તંગદિલીની સ્થિતિ સામાન્ય બનાવવા પોલીસે સંઘર્ષ કરવો પડયો હતો.
માનકુવા પોલીસ મથકના બાથરૂમમા એક યુવાનના આપઘાતની ઘટનાએ કચ્છ પોલીસ બેડામાં ચકચાર સર્જી છે. વેલાજી કાસમ કોલી નામના યુવકને શનિવારે સવારે માનકુવાના અશોક કોલી, હરજી કોલી પોલીસ મથકે લાવ્યા હતા. જો કે પોલીસ કોઇ કાર્યવાહી કે તપાસ કરે તે પહેલા જ સવારે ૯ વાગ્યાના અરસામાં યુવક બાથરૂમ જવાનું કહી ફૂવારામાં પોતાના ટીશર્ટ વડે લટકી ગયો હતો. કંઇક અજૂગતુ થયું હોવાનું પામી જતા પોલીસે સમાજના લોકોને બોલાવી તપાસ કરતા યુવકે ગળફાંસો ખાઇ આપધાત કર્યો હોવાનુ બહાર આવ્યુ હતુ. મૃતકના પરિવારે આક્રંદ સાથે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા એક સમયે મામલો ગરમ બનતા પોલીસને બળ પ્રયોગ કરવો પડયો હતો. જો કે પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
પોલીસ મથકની અંદર જ યુવકના આપઘાતને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે માનકુવા પોલીસનો સ્ટાફ કાયદો વ્યવસ્થા જાળવવા સાથે તપાસમાં જોડાયુ હતુ. પરિવાર લાશ ન સ્વિકારવાની ચિમકી સાથે વિરોધ કરતા એક સમયે ઘર્ષણ સર્જાયુ હતુ અને પોલીસે કેટલાકની અટકાયત પણ કરી હતી અને મૃતદેહને પી.એમ માટે ખસેડયો હતો. હોસ્પિટલમાં પણ પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો જો કે પોલીસે આ સમગ્ર મામલે યુવક કસ્ટડીમા ન હોવાનુ કહી સમાજના આગેવાનો લાવ્યાં હોવાનુ કહી સમગ્ર બનાવ અંગે માહિતી આપી હતી અને અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
આત્મહત્યાના બનાવને લઇ સમાજ-પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. ચોક્કસ યુવક પોલીસ કસ્ટડીમાં ન હતો પરંતુ પોલીસ સ્ટેશનની અંદર જ આપઘાતના બનાવે ભારે ચકચાર સાથે પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. યુવકે કયા કારણોસર આપઘાત કર્યો? પોલીસ તપાસમાં શુ ખુલે છે? અને પોલીસ કાર્યવાહી વચ્ચે પરિવાર મૃતદેહ સ્વીકારે છે કે નહીં તેના પર સૌની મીટ મંડાયેલી છે. એવી પણ ચર્ચા છે કે, યુવકની આત્મહત્યા કરવા પાછળનું શું કારણ છે, તેને કોઈએ ધમકી આપી હતી કે કેમ તે તપાસનો વિષય છે.
રેકી કરનાર સામે ગુનો દાખલ કરો
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે હતભાગી યુવક ઝરપરા અને ટપ્પર ગયો હતો તે સમયે તેની કોઈ અજાણ્યા ઈસમો રેકી કરતા હોવાનું જાણવા મળ્યું છે. કોળી સમાજ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા રેકી કરનાર ઈસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. આજે રાત્રે ૮.૩૦ સુધી ભુજની જનરલ હોસ્પિટલમાં હતભાગી યુવકનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો ન હતો.
પોલીસે યુવક પર કોઈ જ કાર્યવાહી કરી ન હતી
નાયબ પોલીસ અધિક્ષક બી.બી.ભગોરાના જણાવ્યા પ્રમાણે યુવકના આત્મહત્યા કેસમાં હાલમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવી છે. સવારે બે વ્યક્તિઓ યુવકને પોલીસ મથકે મુકી ગયા હતા. આ સમયે પોલીસે યુવક સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. યુવક બાંકડા પર બેઠો હતો અને બાથરૂમમાં ફાસો ખાઈ લીધો હતો.