અભિનેતા જલદી જ પોતાના પાત્રનું શૂટિંગ શરૂ કરશે.
નીતેશ તિવારીની રામાયણના પ્રથમ ભાગનું શૂટિંગ પુરુ થઇ ગયું છે અને આ ફિલ્મને આ વરસના અંતમાં રિલીઝ કરવાની યોજના છે. ફિલ્મનો બીજો ભાગ ૨૦૨૬માં રિલીઝ કરવામાં આવશે. હવે આ ફિલ્મમાં કુણાલ કપૂરની એન્ટ્રી થઇ હોવાના સમાચાર છે. જોકે ફિલ્મસર્જક તરફથી સત્તાવાર રીતે જણાવામાં આવ્યું નથી. એક રિપોર્ટના અનુસાર, કુણાલ કપૂર રામાયણ ફિલ્મનો હિસ્સો બની ચુક્યો છે.તેણે પોતાના પાત્રને યોગ્ય ન્યાય આપવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે. રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, કુણાલ કપૂર ફિલ્મમાં ઇન્દ્ર દેવની ભૂમિકામાં જોવા મળવાનો છે. તે પોતાના પાત્ર માટે ઉત્સાહિત છે. તે પોતાની જવાબદારી નિભાવવા માટે ઉત્સુક પણ છે. રામાયણની સ્ટારકાસ્ટ વિશે વારંવાર કલાકારોની એન્ટ્રી વિશે આવ્યા કરે છે. પરંતુ ફિલ્મસર્જક આ બાબતે પોતાનું સમર્થન આપતો નથી. આ ફિલ્મમાં સની દેઓલ હનુમાનનો રોલ અને યશ રાવણની ભૂમિકામાં છે. તેમજ રણબીર કપૂર અને સાંઇ પલ્લવી રામ-સીતાનારોલમાં જોવા મળવાના છે. રામાયણમાં નાના પાત્રો માટે પણ કલાકારોની અવાર-નવાર એન્ટ્રી થવી શક્ય છે. રામાયણમાં ઘણા પાત્રો છે અને ફિલ્મસર્જકે નાના-મોટા કલાકારોને ચોક્કસ પાત્રો માટે સાઇન કરવા પડશે.