ભાવનગર જિલ્લાના ૭ તાલુકામાં આજે બુધવારે ઝાપટાથી લઈ બે ઇંચ વરસાદ વરસ્યો હતો. મહુવા તાલુકામાં બે ઇંચ વરસાદ પડયો હતો. વલ્લભીપુર અને સિહોર તાલુકામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો, જયારે અન્ય તાલુકામાં ઝરમર વરસાદ થયો હતો. કેટલાક તાલુકામાં વરસાદે વિરામ લીધો હતો.
મેઘરાજાએ આજે બુધવારે પણ ભાવનગર જિલ્લામાં હાજરી પુરાવી હતી. જિલ્લાના ૭ તાલુકામાં ઝરમરથી લઈ બે ઇંચ વરસાદ પડયો હતો, જેમાં મહુવા તાલુકામાં પર મીલીમીટર એટલે કે બે ઇંચ વરસાદ પડયો હતો. સિહોર તાલુકામાં ૧૩ મીમી, વલ્લભીપુર તાલુકામાં ૧ર મીમી, ઉમરાળા તાલુકામાં ૯ મીમી, ગારિયાધાર તાલુકામાં ૩ મીમી, પાલિતાણા તાલુકામાં ૮ મીમી, તળાજા તાલુકામાં ૮ મીમી વરસાદ નોંધાયો હતો તેમ ડિઝાસ્ટર વિભાગના સુત્રોએ જણાવેલ છે. મહુવા તાલુકાને બાદ કરતા જિલ્લામાં આજે વરસાદનુ જોર ઘટયુ હતુ તેથી ખેડૂત સહિતના લોકોને રાહત થઈ હતી.
છેલ્લા ઘણા દિવસથી વરસાદ આવી રહ્યો છે તેથી ઘણા ખેતરોમાં પણ પાણી જોવા મળી રહ્યા છે અને હજુ ખેતરો સુકાયા નથી. ખેતરોમાં ઘાસ ઉગી ગયા છે ત્યારે વરસાદ વિરામ લેતો ખેડૂતો ઘાસ કાઢવા સહિતની કામગીરી હાથ ધરશે. મહુવા તાલુકામાં માંડ ખેતરોમાં પાણી સુકાયા હતા ત્યાં આજે ફરી બે ઇંચ વરસાદ પડયો હતો. વધુ વરસાદના પગલે ખેતીના પાકને નુકશાન થવાની શકયતા છે ત્યારે થોડા દિવસ વરસાદ વિરામ લેતો સારૂ તેમ ખેડૂત સહિતના લોકોમાં ચર્ચાય રહ્યુ છે.