ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના મુખ્ય પસંદગીકાર તરીકે નિમણૂક સાથે અજીત અગરકરે 24 કલાકની અંદર પોતાની જવાબદારી નિભાવવાનું શરૂ કરી દીધું. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર યોજાનારી 5 મેચની T20 સિરીઝ માટે ગઈકાલે રાત્રે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રશંસકોને આશા હતી કે રિંકુ સિંહને પણ આમાં સ્થાન મળશે, પરંતુ તેને ટીમમાં સ્થાન ન મળતાં બધાને આશ્ચર્ય થયું હતું.
સોશ્યલ મીડિયા પર જોવા મળી રહ્યો છે ફેન્સનો ગુસ્સો
ટેસ્ટ અને વનડે ટીમની જાહેરાત બાદ સતત ચર્ચા ચાલી રહી હતી કે T20 ટીમમાં કેટલાંક નવા ખેલાડીઓને તક આપવામાં આવશે. આમાં રિંકુ સિંહનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું. IPLની 16મી સિઝનમાં રિંકુનું પ્રદર્શન જોયા બાદ ઘણા પૂર્વ ખેલાડીઓએ પણ તેને ટીમ ઈન્ડિયા સાથે રમવાનો હકદાર ગણાવ્યો હતો. આ સ્થિતિમાં પસંદગીકારો દ્વારા તેમની અવગણના કરવાના નિર્ણયને કારણે સોશ્યલ મીડિયા પર ફેન્સનો ગુસ્સો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
રિંકુ મિડલ ઓર્ડરમાં ફિનિશર બેટ્સમેનની ભૂમિકા ભજવે છે
IPLની 16મી સિઝન દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના ખેલાડી રિંકુ સિંહે 14 મેચમાં 59.25ની એવરેજથી 474 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 149.52 હતી. આખી સિઝન દરમિયાન તે ટીમ માટે મિડલ ઓર્ડરમાં ફિનિશર બેટ્સમેનની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. પસંદગીકારોએ તિલક વર્મા અને યશસ્વી જયસ્વાલને તક આપી હતી પરંતુ હજુ સુધી રિંકુ સિંહને તક આપી નથી.
ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન
રિંકુ સિંહ માત્ર IPLમાં જ નહીં પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ છેલ્લી કેટલીક સિઝનથી શાનદાર પ્રદર્શન કરતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 41 મેચમાં 58.38ની એવરેજથી 2919 રન બનાવ્યા છે. જેમાં 7 સદી અને 19 ફિફ્ટીનો પણ સમાવેશ છે.