અ ષાઢ સુદ એકાદશી થી કારતક સુદ એકાદશીના સમયગાળાને હિન્દુ ધર્મમાં ચાતુર્માસ તરીકે ગણવામાં આવે છે. ચાતુર્માસમાં અનેક ઉત્સવ આવે છે. ગુરુપૂર્ણિમા, હિંડોળા, જયાપાર્વતી વ્રત, એવરત-જીવરત વ્રત, નાગપાંચમ, શિતળા સાતમ, જન્માષ્ટમી, પવિત્રા એકાદશી, રક્ષાબંધન, ગણેશચતુર્થી, જળઝીલણી એકાદશી, દશેરા, શ્રાદ્ધપર્વ, નવરાત્રી, ભાદરવી અમાસ- શ્રી મુક્તજીવન સ્વામીબાપાના જયંતી, શરદપૂર્ણિમા, દિવાળી, નૂતનવર્ષ અને ભાઈબીજ. આ ચાતુર્માસમાં વળી પુરુષોત્તમ માસ અધિકમાસ પણ આવે છે. આમ ચાતુર્માસએ ભક્તિનું પર્વ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, મહાત્મ્ય સહિત ભક્તિ કરીને મોક્ષસાધી લેવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ.
વર્ષ દરમ્યાન કુલ ચોવીસ એકાદશી આવે છે. જેમાં ચાતુર્માસમાં આવતી નવ એકાદશીનું સવિશેષ મહત્વ હોય છે અને તેમાં પણ ત્રણ એકાદશીનું સૌથી મહત્વ વધારે હોય છે. અષાઢ સુદ એકાદશીએ ભગવાન શયન કરે છે એટલે કે પોઢી જાય છે તેથી આ એકાદશીનું નામ દેવપોઢી એકાદશી પાડવામાં આવ્યું. ભાદરવા સુદ એકાદશી આવે છે ત્યારે ભગવાન પડખું ફેરવે છે તેથી તેને પાર્શ્વવર્તીની એકાદશી કહેવામાં આવે છે. અને કારતક સુદ એકાદશીએ ભગવાન જાગે છે તેથી તેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. આ સર્વે એકાદશીએ નકોરડો ઉપવાસ કરવો જોઇએ તેવું શાસ્ત્રોમાં નિરુપણ છે. પરંતુ જે આ ચોવીશ એકાદશીઓના દિવસે નકોરડો ઉપવાસ ના કરી શકતા હોય તેમણે ચાતુર્માસમાં આવતી નવ એકાદશીના ઉપવાસ અવશ્ય કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. કદાચ કોઈથી આ નવ એકાદશી ના થાય તો તેમણે ત્રણ મુખ્ય એકાદશીએ તો અવશ્ય ઉપવાસ કરવા જોઈએ.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ચાતુર્માસ કરવાની પ્રણાલિકા છે. શ્રીજીમહારાજે શિક્ષાપત્રી ગ્રંથની અંદર ચાતુર્માસના નિયમો ગ્રહણ કરવા ઉપર ભાર મૂકતાં કહ્યું છે કે, ચાતુર્માસમાં સૌ ભક્તોએ વિશેષ નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધારવા જ જોઈએ. તે નિયમો જણાવતાં કહે છે કે ‘ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી, ભગવાનના ગુણનું ગાન કરવું. પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી. ભગવત્મંત્રનો જપ કરવો, સ્તોત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા. આ આઠ નિયમો કોઈ એક નિયમ ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવો.’ શરીરના સુખાકારી માટે પણ ઉપવાસ કરવા એ હિતકારી માનવામાં આવેલું છે. તેથી ઘણા સંતો-ભક્તો ચાતુર્માસ દરમ્યાન નકોરડા ઉપવાસ, ધારણાં-પારણાં-એકટાંણા આદિ વ્રતો કરતાં પણ હોય છે.
તા. ૨૯ જૂન એટલે કે, અષાઢ સુદ એકાદશી થી ચાતુર્માસનો પ્રારંભ થશે અને તેની પૂર્ણાહુતિ તા.૨૩ નવેમ્બર કારતક સુદ એકાદશીના રોજ થશે, તેથી આપણે સહુ કોઈએ વ્રત, તપ અને ભક્તિથી આ ચાતુર્માસમાં ભગવાનને પ્રસન્ન કરવા પ્રયત્ન કરવો જોઈએ.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ