દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભવિત બિપરજોય વાવાઝોડાની અસરને પગલે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તથા કલેકટરશ્રી અશોક શર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. લેન્ડ ફોલ સમયે ભારે વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી છે ત્યારે જિલ્લામાં ઝીરો કેઝયુઆલીટીના અભિગમ સાથે જોખમ હેઠળના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાંથી ૨૨૦૦ કરતા વધારે અને ભાણવડ તાલુકાના ૧૪૦૦ કરતા વધારે એમ કુલ મળીને ૩૬૦૦ કરતા વધારે લોકોને સ્થળાંતરિત કરી આશ્રયસ્થાનમાં આશ્રય આપવામાં આવ્યો છે. તેમજ ખંભાળિયામાં ૪૨ આશ્રયસ્થાનો અને ભાણવડ તાલુકામાં ૨૭ આશ્રયસ્થાનોમાં લોકોને સ્થળાંતર કરી લાવવામાં આવ્યા છે. તેમજ શેલ્ટર હોમ ખાતે સ્થળાંતરિત કરેલા લોકો માટે રહેવાની, જમવાની તથા આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ પોલીસની ટીમ પણ આશ્રય સ્થાનો ખાતે બંદોબસ્તમાં મુકાઈ છે.
વાવાઝોડાની પરિસ્થિતિને લઇ ખંભાળિયા તાલુકામાં ૧૫,૦૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૪૦૦ જેટલી રાશનકીટ બનાવી તેનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. આશ્રય સ્થાનોમાં મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકો દ્વારા ભોજન બનાવવામાં આવી રહ્યું છે.
ગ્રામ્ય કક્ષાએ નોડલ નીમવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૦ ગામો વચ્ચે એક નોડલ નીમવામાં આવ્યા છે. તેમજ પીજીવિસીએલ વિભાગ, ફોરેસ્ટ વિભાગ અને આરએનબીની વિવિધ ટીમો કાર્યરત છે. પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડિયા, ખંભાળિયા અને ભાણવડ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ ખંભાળિયા, સલાયા અને ભાણવડના ચીફ ઓફિસરશ્રી સહિતના અધિકારીઓ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ લોકોને સતર્ક રહેવા અંગે સમજણ આપી રહ્યા છે.