અમરેલીના મર્ડરના ગુનામાં ફરાર બે આરોપી ઝડપાયા.

અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલા મફતિયાપરામા ત્રણ દિવસ પહેલા બે શખ્સોના ઝગડામાં સમજાવવા વાતનું સારું નહીં લાગતા બંને શખ્સો યુવકનાં ઘરે જઇને ગાળો આપી અને ત્યારબાદ તેણે છરી વડે ઘા મારી અને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી બંને આરોપીઓને પકડી પાડયા હતાં.

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે અમરેલીના મફતીયાપરા વિસ્તારમાં રાકેશભાઇ રામજીભાઈ મકવાણા (ઉ.વ.૩૩) અને કરણભાઈ રામજીભાઈ મકવાણા (ઉ.વ.૨૪) નામના બંને શખ્સો અંદરો અંદર ઝઘડી રહ્યા હતા. તે દરમયાન સંજયભાઈ જોગદીયા તેને સમજાવવા જતાં સારું નહીં લાગતા બંને શખ્સો સંજયભાઈના ઘરે પ્રવેશી અને ગાળો આપી દેતા ગાળો આપવાની ના પાડતાં રાકેશે છરી કાઢી તેને વાંસાના ભાગે મારી હતી અને કરણે તેને પકડી રાખ્યા હતા અને રાકેશ દ્વારા સાથળના ભાગે પણ છરીના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઇ ગયા હતાં.

જાણ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપીઓ અમરેલી, બહારપરા, ગાયત્રી મોક્ષધામની પાછળ આવેલ નદીમાં આવેલ બાવળની કાંટમાં ક્યાંક છુપાવેલા છે જેથી નદીમાં જવા સારૂ અલગ અલગ ટીમો બનાવી પોલીસે કામનાથ મહાદેવ મંદિર તથા રેલવે બ્રીજના બંને છેડા તરફથી મોક્ષધામની પાછળ આવેલ નદીના પટમાં બાવળની કાંટમાં ચારે બાજુથી કોર્ડન કરી સર્ચ કરવામાં આવતા ત્રણેક કલાક આરોપીની શોધખોળ કરી પકડી લીધા હતા.

આ ગુનામાં પકડાયેલ આરોપી રાકેશ રામજીભાઈ મકવાણા, ગણદેવી, ઉના, અંકલેશ્વર, અમરેલી મળી કુલ ૪ અલગ અલગ ગુનામાં સંડોવાયેલો છે. હાલ અમરેલી સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.