- કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલા, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા દ્વારકામાં આપદા પ્રબંધન તંત્રનું સૂક્ષ્મ અવલોકન
- ઓખામાં કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ બેઠક યોજી રાહત – બચાવ કાર્યની તૈયારીની સમીક્ષા કરી
- નાગરિકો અને વહીવટી તંત્ર સાથે રહીને સૌનો જુસ્સો વધારતા મંત્રીશ્રીઓ
- જિલ્લામાં ૬૫૦૦થી વધુ લોકોનું સ્થળાંતર
માહિતી બ્યુરો દેવભૂમિ દ્વારકા, તા.૧૩ જૂન અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડુ ‘બિપરજોય’ ગુજરાતના સમુદ્ર કાંઠે આવી પહોંચ્યું છે ત્યારે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા તથા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સતત ખડેપગે રહીને સમગ્ર કામગીરીનું નિરિક્ષણ રાખવા સાથે નાગરિકો તેમજ વહીવટી તંત્રનો જુસ્સો વધારી રહ્યા છે. બંને મંત્રીશ્રીએ આજે જિલ્લામાં આપદા પ્રબંધન તંત્ર અંતગર્ત કરાયેલી વિવિધ તૈયારીઓ, વ્યવસ્થાનું સૂક્ષ્મ અવલોકન કર્યું હતું અને વાવાઝોડા સામેની તૈયારીઓને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. આ સાથે તેઓએ ‘બિપરજોય’ વાવાઝોડાની સામે તંત્ર સંપૂર્ણ રીતે સુસજ્જ હોવાનું પણ જણાવ્યું હતું. જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૫૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડાયા છે.
કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલાએ આજે સવારે જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશને વિશેષ પ્રાર્થના કર્યા બાદ એન.ડી.આર.એફ.ટીમની મુલાકાત લઈને તેમનો જુસ્સો વધાર્યો હતો. તેઓશ્રીએ વાવાઝોડાના પ્રભાવક્ષેત્ર એવા વરવાળા તથા રૂપેણ બંદર ખાતે શરૂ કરાયેલા આશ્રય સ્થાનોની મુલાકાત લઈ ત્યાંની સ્થિતિની માહિતી મેળવી હતી. આ સાથે સ્થળાંતરિત લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તેમણે તંત્રને આવશ્યક સૂચનો કર્યા હતા. મંત્રીશ્રીએ ઝૂંપડામાં જઈને પણ સ્થળાંતર માટે રાજી ના થતી મહિલાને સમજાવીને તેને સલામત સ્થળે જતા રહેવા અપીલ કરી હતી.
દ્વારકાના મામલતદાર કચેરીમાં શરૂ કરાયેલા ડિઝાસ્ટર કંટ્રોલરૂમની પણ શ્રી રૂપાલાએ મુલાકાત લીધી હતી. અહીં તેમણે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સાથે વાવાઝોડાની દિશા, પવનની ગતિ સહિતની વિગતો મેળવીને દ્વારકા જિલ્લામાં વાવાઝોડા સામે સચેત રહેવાની આગોતરી વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી.
આ તકે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ વાવાઝોડાના સ્થિતિમાં લોકોને બહાર નહીં નિકળવા તેમજ તા. ૧૫ તથા ૧૬ના રોજ દ્વારકાની મુલાકાત ન લેવા માટે અપીલ કરી હતી.
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ સાથે મીટીંગ કરીને દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ સાથે દરિયાઈ વિસ્તારોમાં કોઈપણ નાગરિક ના જાય તેના માટે ચુસ્ત સુરક્ષા જાળવવા પોલીસને જણાવ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે ઓખા હેડ ક્વાર્ટર નંબર ૧૫ ખાતે કોસ્ટગાર્ડ, એન. ડી.આર.એફ., એસ. ડી.આર.એફ., બી.એસ.એફ. તેમજ પોલીસ સ્ટાફ સાથે મીટીંગ કરી હતી અને વાવાઝોડાના સંકટને પહોંચી વળવા, રાહત અને બચાવ કાર્યની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે ઓખા જેટીનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેમની સાથે રેન્જ આઇજી શ્રી અશોક કુમાર યાદવ, તેમજ કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આપદા પ્રબંધન સાથે નાગરિકોનો જુસ્સો અને સહકાર પણ એટલો જ જરૂરી છે. સંભવિત વાવાઝોડા સામે દ્વારકામાં નાગરિકો પણ તંત્ર સાથે ખભેખભો મિલાવીને ઊભા છે. કેટલીક સંસ્થાઓએ ફૂડપેકેટ્સ સહિતની આગોતરી તૈયારી લીધી છે. દ્વારકામાં પક્ષીતીર્થ સંસ્થાની ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી અને સંસ્થા દ્વારા તૈયાર કરાયેલા ૫૧૦૦ ફૂડ પેકેટ્સની કામગીરીની સરાહના કરી હતી.
આજે બપોરે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે વાવાઝોડા ‘બિપરજોય’ અંગે વીડિયો કોફરન્સ યોજીને તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. જેમાં કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલા તથા ગૃહ રાજ્યમંત્રીશ્રી સંઘવી જોડાયા હતા અને દ્વારકા જિલ્લામાં કરાયેલી આગોતરી તૈયારીઓની વિશેષ વિગતો આપી હતી.
વાવાઝોડા સંબંધિત ફરિયાદોના નિવારણ માટે હેલ્પલાઇન ૦૨૮૩૩-૨૯૬૩૩૦ નંબર કાર્યરત દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરશ્રીની કચેરી ખાતે વાવાઝોડા અને ભારે વરસાદના સંજોગોમાં નાગરિકોની ફરિયાદોના તાત્કાલિક નિવારણ માટે ૦૨૮૩૩-૨૯૬૩૩૦ નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. વધુ પાંચ એમ્બ્યુલન્સ મંગાવાઈ, દ્વારકા જિલ્લામાં ૧૬ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ તૈનાત
દેવભૂમિ દ્વારકા વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં હોઈ જિલ્લાને રાજકોટ ખાતેથી વધારાની ઈમરજન્સી મેડિકલ સેવા ૧૦૮ની ૦૫ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સની સાથે ૨૨ લોકોનો સ્ટાફ ૨૪ કલાક ખડેપગે રહેશે. આ એમ્બ્યુલન્સ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારો દ્વારકા, મીઠાપુર, ઓખા ખાતે મૂકવામાં આવશે.
ખંભાળિયામાં શેલ્ટર હોમનું નિરીક્ષણ
- આજે ખંભાળિયાના પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડિયા, મામલતદારશ્રી, ચીફ ઓફિસરશ્રી સહિતના અધિકારીઓ દ્વારા ખંભાળિયાના શેલ્ટરહોમની મુલાકાત કરવામાં આવી હતી અને શેલ્ટર હોમ ખાતે સ્થળાંતરીત કરાયેલા લોકો માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
સ્થળાંતર સહિતની કામગીરીમાં પોલીસ ખડેપગે
- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાના પ્રભાવ ક્ષેત્રમાંથી લોકોને હાલ સ્થળાંતરિત કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે જિલ્લાનો પોલીસ સ્ટાફ પણ આ કાર્યમાં ખડેપગે જોડાયેલો છે અને લોકોને સલામત સ્થળે લઈ જવા માટે જહેમત ઉઠાવી રહ્યો છે.