
ઓલપાડના ફૂડસદ ગામે બે ઘરમાં આગ ફાટી નીકળી
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ફૂડસદ ગામે રાત્રીના સમયે એક મકાનમાં આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ બાજુના મકાનમાં પણ પ્રસરી ગઇ હતી. આગના કારણે બંને મકાનોમાં ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત બે બકરાના મોત થયા છે જયારે 7 થી 8 બકરા ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ફૂડસદ ગામ ખાતે આવેલા નવાપરા ફળીયામાં પતરાવાળા મકાનમાં રહેતા ગણેશભાઈ સોમાભાઈ વસાવા અને અલ્પેશભાઈ મંગાભાઈ વસવાના ઘરમાં રાત્રીના સમયે એકાએક આગ લાગી હતી. રાત્રીના બે થી ત્રણ વાગ્યાના અરસામાં પરિવાર નિંદ્રા માણી રહ્યો હતો, તે વેળાએ કોઈ કારણોસર ઘરમાં આગ લાગી ગઇ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ એક ઘરમાંથી બીજા ઘરમાં પ્રસરી હતી. જેને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી.
આગ લાગતા જ પરિવારના સભ્યો બહાર દોડી આવ્યા હતા. ઘરમાં એક વૃદ્ધ પણ હતા, તેમને પણ હેમખેમ બચાવી લીધા હતા.આગ લાગતા જ ફળીયામાં સ્થાનિકો એકઠા થઇ ગયા હતા અને પાણીનો મારો ચલાવી જાતે જ આગ પર કાબુ મેળવી લીધો હતો.
આગની આ ઘટનામાં ગણેશભાઈને ત્યાં રહેલા બે બકરાના મોત થયા હતા જયારે 7 થી 8 જેટલા બકરાઓ ઈજાગ્રસ્ત થયા હતા. જયારે બે ઘરમાં આગ લાગતા ઘરમાં રહેલી ટીવી, ઘર વખરી અને બાઈક પણ બળીને ખાખ થઇ ગઇ હતી. આખે આખું ઘર બળી જતા પરિવાર મુસીબતમાં મુકાયો હતો, જયારે આગના કારણે બે બકરાઓના મોત પણ નીપજ્યા હતા. જો કે ઘરમાં આગ ક્યાં કારણોસર લાગી તે હાલ જાણી શકાયું ન હતું.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button