
દ્વારકા ઉત્સવ ૨૦૨૩નો મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે થયો પ્રારંભ
- ભગવાન કૃષ્ણના જીવન આધારિત કલાકૃતિઓ જોઈ લોકો થયા અભિભૂત
માહિતી બ્યુરો-દેવભૂમિ દ્વારકા, યાત્રાધામ દેવભૂમિ દ્વારકાની પાવન ભૂમિ પર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર, કમિશનરશ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સંચાલિત દ્વારકા ઉત્સવ ૨૦૨૩ નો પ્રારંભ મહાનુભાવો અને ભાવિકોની ઉપસ્થિતિમાં સર્કીટ હાઉસ પાછળ, ભડકેશ્વર મંદિર પાસેના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો.
આ તકે ઇન્ચાર્જ કલેકટરશ્રી ભૂપેશ જોટાણિયાએ જણાવ્યું હતું કે, ભગવાન દ્વારકાધિશે પોતાની કર્મભૂમિ તરીકે દ્વારિકા નગરીની પસંદગી કરી એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. આજે એજ પવિત્ર ભૂમિ પર દ્વારકા ઉત્સવ ૨૦૨૩નું આયોજન થઈ રહ્યું છે.
ઇન્ચાર્જ કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે , વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાનિર્દેશનમાં ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત બનવું છે. જેમાં પ્રવાસન ક્ષેત્ર ખૂબ મહત્વનું પાસુ છે. જેના માટે દેશમાં અનેક સાંસ્કૃતિક સ્થળોને ટુરિઝમ સર્કીટ તરીકે વિકાસવવાનો નિર્ણય કર્યો છે. જેમાં યાત્રાધામ દ્વારકાનો પણ સમાવેશ થાય છે. ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં સૌ કોઈ આનંદિત થઈ દ્વારકા ઉત્સવને માણીએ.
આ તકે ધારાસભ્યશ્રી પબુભા માણેકે જણાવ્યું હતું કે, પ્રાચીન સમયથી જ ભારતની ભૂમિ ઉત્સવપ્રિય રહી છે. દેશના ખૂણે ખૂણે અલગ અલગ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ઉત્સવો આપણા જીવનનો એક ભાગ છે. જેના થકી મનુષ્ય આનંદીત રહે છે. પવિત્ર યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં હોળીના પાવન પર્વ પર લાખો ભક્તો ભગવાન દ્વારકાધીશ સંગે હોળી રમવા પધારી રહ્યા છે.
વધુમાં ધારાસભ્યશ્રીએ કહ્યું હતું કે, દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશા દર્શનમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાંસ્કૃતિક સ્થળો તથા પ્રવાસનધામોનો ખૂબ વિકાસ કર્યો છે. વિખ્યાત શિવરાજપુર બ્લૂફ્લેગ બીચ તેમજ બેટ દ્વારકા વચ્ચે નિર્માણાધિન કેબલ સ્ટેન્ડ બ્રિજ પવિત્ર દ્વારકા નગરીમાં પ્રવાસન ક્ષેત્રમાં યશકલગી ઉમેરી છે.
કાર્યક્રમનો પ્રારંભ તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલાસિકલ ડાન્સ રાજકોટના કલાકારો દ્વારા સ્વાગત ગીત રજૂ કર્યું હતું. તેમજ ભગવાન દ્વારકાધીશના સંપૂર્ણ જીવનચરિત્રને ચરિતાર્થ કરતું દેવ દ્વારિકાવાળો સુંદર નૃત્ય નાટિકા જાંજરી ગ્રુપ દ્વારકાના કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ વિખ્યાત લોકગાયક કિશોરદાન ગઢવી, નીરવભાઈ રાયચુરા તથા જ્યોત્સનાબેન રાયચુરા દ્વારા પ્રસ્તુત ભગવાન કૃષ્ણના જીવન આધારિત પદો અને લોકસંગીત સાંભળી ઊપસ્થિત નાગરિકો મંત્રમુગ્ધ થયા હતા.
આ તકે સાંસદસભ્યશ્રી પૂનમબેન માડમ, દ્વારકા પ્રાંત અધિકારીશ્રી પાર્થ તલસાણીયા, મામલતદારશ્રી વિક્રમ વરૂ, દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન કેર, નગરપાલીકા પૂર્વ પ્રમુખશ્રી જ્યોતીબેન સામાણી, લુણાભા સુમણિયા, વિજયભાઈ બુજડ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button