
આ વર્ષે હોળી પ્રગટાવવાની તારીખને લઇને ભારે અસમંજસ
માર્ચ મહિનો આજથી શરુ થઈ રહ્યો છે. આ મહિને હિન્દુ શાસ્ત્રમાં મહત્વપૂર્ણ તહેવાર હોળી-ધુળેટી આવી રહ્યા છે. આ વર્ષે હોળીની તીથી(પૂર્ણિમા)માં ભારે સંશય છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે હોળી કઈ તારીખે પ્રગટાવવી જોઈએ.
કઇ તારીખે પ્રગટાવશો હોળી?
તારીખ 06/03/2023 સોમવારના દિવસે સાંજે 04:18 મિનિટ પછી પૂર્ણિમાનો આરંભ છે એટલે રાત્રિકાલમાં પૂર્ણિમા છે. બીજા દિવસે એટલે કે 07/03/2023એ સાંજે 6.11 વાગ્યા સુધી જ પૂર્ણિમા છે અને હોળીનો નિયમ છે કે તે નિશાકાળમાં જ પ્રગટાવવામાં આવે. 7 તારીખે નિશાકાળ સુધી પૂર્ણિમા તિથિ પહોંચતી નથી, માટે શાસ્ત્ર પ્રમાણે 6 તારીખે જ હોળી પ્રગટાવવી. ઉદય તિથિના નિયમને જો અનુસરતા હોવ તો 7 તારીખે પણ હોળી પ્રગટાવી શકાય છે.
કેમ 6 તારીખે જ પ્રગટાવવી હોળી?
હોળીનો નિયમ છે કે તે નિશા કાળમાં જ પ્રગટાવવામાં આવે. શાસ્ત્રમાં એક શ્લોક દ્વારા આપણે સમજીએ.
निशागमे प्रपूज्येत
होलिका सर्वदा बुधैः।
न दिवा पूजयेत्
ढुण्ढां पूजिता दुःखदा भवेत् ॥
અર્થ:-
હોલિકા દહન નિશાકાળમાં કરવું જોઈએ દિવસમાં હોલિકા દહન અથવા હોલિકા પૂજન ન કરવું.
હોલિકા દહન દરમિયાન શું કરવું
હોલિકા દહનની પૂજા સમયે તમારું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ.
હોળીકા દહન કરતા પહેલા ઓછામાં ઓછી 7 વાર હોળિકાની પરિક્રમા કરો.
હોળી પ્રગટાવતા પહેલા પરિવારના સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરો.
હોળિકા દહનનું પૌરાણિક મહત્વ
પુરાણો અનુસાર, રાક્ષસ રાજા હિરણ્યકશ્યપને ગુસ્સો આવ્યો જ્યારે તેમણે જોયું કે તેમનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુ સિવાય અન્ય કોઈને માનતો નથી. તેમણે તેમની બહેન હોલિકાને પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસવાનો આદેશ આપ્યો. હોલિકાને વરદાન હતું કે અગ્નિ તેને નુકસાન પહોંચાડી શકતી નથી. પરંતુ થયું તેનાથી વિપરીત, હોલિકા બળીને રાખ થઈ ગઈ. ભક્ત પ્રહલાદને કંઈ થયું નહીં. હોળીનો તહેવાર એ સંદેશ આપે છે કે એ જ રીતે ભગવાન પોતાના ભક્તોની રક્ષા માટે હંમેશા હાજર રહે છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button